વલ્લભ વિદ્યાનગર: ચારુતર વિદ્યા મંડળ (CVM) ના ચેરમેન અને CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના 75મા જન્મદિવસની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી “75 વર્ષ અમૃત પર્વ” નિમિત્તે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે એક ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે દાયકાઓથી સમર્પિત રહેલા ભીખુભાઈના આ સન્માન સમારોહમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક જગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીજીનું પવિત્ર સાન્નિધ્ય
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે BAPS હિન્દુ મંદિર, અબુધાબી (UAE) ના મુખ્ય સંત પરમ પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીએ ભીખુભાઈના જીવન અને કૌશલ્યને બિરદાવતા તેમને દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. પૂજ્ય ભગવતચરણ સ્વામીએ પણ આશીર્વચન પાઠવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે CVM સંસ્થાને વૈશ્વિક ફલક પર લઈ જવામાં ભીખુભાઈના ફાળાને ઉપસ્થિત તમામે મુક્તકંઠે વખાણ્યો હતો.
રાજકીય અને શૈક્ષણિક અગ્રણીઓની માતબર હાજરી
કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ ઉપસ્થિત રહી ભીખુભાઈને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, “શિક્ષણ દ્વારા સમાજ નિર્માણનું જે કાર્ય ભીખુભાઈએ કર્યું છે તે અનન્ય છે.” આ ઉપરાંત કાર્યક્રમમાં ચારૂસેટ યુનિ. ના પ્રેસિડેન્ટ, સાંસદ મિતેશ પટેલ, પ્રદેશ ભાજપ કોષાધ્યક્ષ, ધારાસભ્ય યોગેશ પટેલ, વિપુલ પટેલ અને ગોવિંદ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર વલ્લભ વિદ્યાનગર પંથકમાંથી હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનો અને વિદ્યાર્થીઓએ આ ‘અમૃત પર્વ’માં સહભાગી થઈ ભીખુભાઈ પટેલ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. સીવીએમ પરિવારના સંયુક્ત સચિવો અને ટ્રસ્ટીઓ દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું.
