નડીઆદ: “જીવ પ્રાણીના માત્ર હિત કરવાની ભાવના સાથે માનવીય સંવેદનાના કાર્યો થાય ત્યારે સનાતન ધર્મ સુરક્ષિત બને છે.” આ ઉદ્ગારો વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ નડીઆદ ખાતે વ્યક્ત કર્યા હતા. સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા એસ.આર. ટ્રસ્ટ રતલામ અને ભારત સરકારના એલિમ્કોના સહયોગથી આયોજિત બે દિવસીય વિનામૂલ્યે કૃત્રિમ હાથ-પગ બેસાડવાના કેમ્પની રવિવારે ભાવપૂર્ણ પૂર્ણાહુતિ થઈ હતી.
૪૫૦થી વધુ દિવ્યાંગોને મળી નવી પાંખો
આ બે દિવસીય કેમ્પમાં અંદાજે ૪૫૦થી વધુ દિવ્યાંગજનોને અમેરિકન ટેકનોલોજીથી બનેલા કૃત્રિમ હાથ અને પગ વિનામૂલ્યે બેસાડી આપવામાં આવ્યા હતા. કેમ્પમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ ઉત્તરપ્રદેશના અયોધ્યાથી પણ લાભાર્થીઓ આવ્યા હતા. અયોધ્યાથી આવેલા લાલમણી નામના લાભાર્થીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “આર્થિક સ્થિતિ નબળી હોવાથી જે હાથ બેસાડવા અશક્ય હતા, તે આજે ગોકુલધામ નારના કારણે શક્ય બન્યા છે, હવે હું ટુ-વ્હીલર પણ ચલાવી શકીશ.”
રાજકીય અને ધાર્મિક અગ્રણીઓની હાજરી
આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, સંતો દ્વારા એક જ દિવસમાં દિવ્યાંગોના દુઃખ દૂર કરવાની આ સેવા સાચી સમાજ સેવા છે. નડીઆદના ધારાસભ્ય પંકજ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘દિવ્યાંગ’ શબ્દના વિઝનને યાદ કરી વડતાલમાં ટૂંક સમયમાં મેડિકલ કોલેજ શરૂ થવાની પણ આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા અને કલેક્ટર અમિતપ્રકાશ યાદવે ખાસ હાજરી આપી હતી.
સેવાનો પરમાનંદ: સાધુ શુકદેવપ્રસાદદાસ
ગોકુલધામ નારના સાધુ શુકદેવપ્રસાદદાસએ આશીર્વચન આપતા કહ્યું કે, અહીં આવતા દિવ્યાંગો લાભાર્થી નથી પણ ‘ભગવાન’ છે, તેમની સેવા એ કોઈ ઉપકાર નથી પણ અંતરની કરુણા છે. કેમ્પમાં જે દિવ્યાંગો વ્હીલચેર પર આવ્યા હતા, તેઓ કેમ્પના અંતે પોતાના પગે ચાલીને અને સાયકલ ચલાવીને બહાર નીકળતા જોઈ ઉપસ્થિત સૌની આંખો હરખથી ભરાઈ આવી હતી.
કેમ્પના અંતમાં દાતાઓ, તબીબો અને સ્વયંસેવકોનું સંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ હરિકૃષ્ણ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
