બોરસદ: આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને આબોહવા પરિવર્તન વિભાગ (Climate Change Department) ના સંયુક્ત ઉપક્રમે આજે બોરસદ APMC ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન’ વિષય પર જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી તથા નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
કુદરતી સંસાધનોનું જતન એ જ સાચું જીવન
સેમિનારને સંબોધતા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું હતું કે, “મિશન લાઈફ એટલે કે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી. માનવ જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે સારા સ્વાસ્થ્યની જરૂર છે, જે માત્ર શુદ્ધ પર્યાવરણ થકી જ મળી શકે છે.” તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને યાદ કરતા ઉમેર્યું કે કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ અને પર્યાવરણનું રક્ષણ એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. ખાસ કરીને સવારની દિનચર્યા અને પરંપરાગત ખોરાક તંદુરસ્તી જાળવવામાં પાયાની ભૂમિકા ભજવે છે.
‘શ્રી અન્ન’ તરફ પાછા વળવાનો સંદેશ
નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલે આધુનિક યુગના ખોરાક અને જંક ફૂડના જોખમો સામે લાલબત્તી ધરી હતી. તેમણે મિલેટ્સ (ધાન્ય) ના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, “વડાપ્રધાનએ સમગ્ર વિશ્વને ‘શ્રી અન્ન’નો મંત્ર આપ્યો છે. બાજરી, જુવાર, રાગી અને કોદરી જેવા પરંપરાગત ધાન્યો આપણા સ્વાસ્થ્યના રક્ષક છે.” તેમણે નવી પેઢીને રોગોથી મુક્ત રાખવા માટે પરંપરાગત આહાર અને સ્વસ્થ પર્યાવરણને અપનાવવા અનુરોધ કર્યો હતો.
તજજ્ઞો દ્વારા માર્ગદર્શન
સેમિનારમાં ઉપસ્થિત પર્યાવરણ ક્ષેત્રના તજજ્ઞોએ આબોહવા પરિવર્તનની અસરો અને રોજીંદા જીવનમાં નાના ફેરફારો દ્વારા કેવી રીતે પર્યાવરણને બચાવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલ, મામલતદાર મયુર પ્રજાપતિ તેમજ જિલ્લા-તાલુકા પંચાયતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
