ધોલેરા: ભાલ પ્રદેશના આસ્થાના કેન્દ્ર એવા ધોલેરાધામ મુકામે રવિવાર, ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મદનમોહન મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના પાવન ઉપલક્ષમાં સમગ્ર ભાલ પ્રદેશનો વિશાળ શાકોત્સવ અત્યંત ભક્તિભાવ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે કેવળ ધાર્મિક વિધિઓ જ નહીં, પરંતુ માનવસેવાના ઉમદા હેતુથી નિઃશુલ્ક હેલ્થ કેમ્પ પણ યોજાયો હતો.
શાકોત્સવ અને કથાનો દિવ્ય લાભ
આ દિવ્ય શાકોત્સવ દરમિયાન પ.પૂ. શાસ્ત્રી હરિપ્રસાદદાસ સ્વામી (કામિયાળા) એ હરિભક્તોને કથાનો અમૂલ્ય લાભ આપ્યો હતો. અંદાજે ૩૦૦૦ થી વધુ હરિભક્તોએ સત્સંગ, દર્શન અને કથાવાર્તાનો આનંદ માણ્યો હતો. સંતોના આશીર્વચન અને મધુર કથાથી સમગ્ર ધોલેરાધામ ભક્તિમય બની ગયું હતું.
શિક્ષાપત્રી પૂજન: ૨૦૦ વર્ષની ઉજવણી
ઉત્સવમાં એક વિશેષ ક્ષણ ત્યારે આવી જ્યારે મહારાજ પ્રણીત શિક્ષાપત્રી લેખનના ૨૦૦ વર્ષ પૂર્ણ થતા તેના પૂજનની વિધિ કરવામાં આવી. સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં શિક્ષાપત્રીનું વિધિવત પૂજન કરી હરિભક્તોને શિક્ષાપત્રીના આદર્શો જીવનમાં ઉતારવા પ્રેરણા આપવામાં આવી હતી.
નિઃશુલ્ક આઈ કેમ્પ: સેવાની સરવાણી
ભક્તિની સાથે શક્તિ અને સેવાના મંત્રને સાર્થક કરતા અહીં નિઃશુલ્ક આંખના કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ભાલ પ્રદેશના જરૂરિયાતમંદ દર્દીઓએ:
- ફ્રી નિદાન
- ફ્રી ઓપરેશન
- ફ્રી ચશ્મા વિતરણ જેવી ઉત્તમ સેવાઓનો લાભ લીધો હતો.
આગામી દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ
મદનમોહન મહારાજના ૨૦૦ વર્ષના દ્વિશતાબ્દી ઉત્સવ અંતર્ગત ધોલેરામાં સતત સામાજિક અને ધાર્મિક આયોજનો થઈ રહ્યા છે. આ મહોત્સવની મુખ્ય ઉજવણી ૨૩ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન ખૂબ જ ભવ્ય રીતે થવાની છે.
આ સમગ્ર આયોજન કોઠારી સ્વામી હરિકેશવદાસ સ્વામી અને આ. કો. પુરુષોત્તમચરણદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ પુજારી સ્વામી વિજયપ્રકાશદાસ, હરિચરણસ્વામી (વારણા), શ્યામસ્વામી (વડતાલ) અને હરિકૃષ્ણસ્વામી (નાર) ની પ્રેરક ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
