ભારતની જાહેરાત (એડવર્ટાઇઝિંગ) જગતની દિગ્ગજ હસ્તી અને અનેક યાદગાર સૂત્રોના સર્જક, એડ-ગુરુ પીયૂષ પાંડેનું ૭૦ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. તેમના નિધનથી જાહેરાત, મીડિયા અને રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીયૂષ પાંડે છેલ્લા કેટલાક સમયથી ગંભીર ચેપ (Infection) થી પીડાતા હતા, જોકે તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
જાહેરાત જગતના બેતાજ બાદશાહ:
પીયૂષ પાંડેએ ૨૭ વર્ષની ઉંમરે જાહેરાતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમણે પોતાના ભાઈ પ્રસૂન પાંડે સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૧૯૮૨માં જાણીતી જાહેરાત કંપની ઓગિલ્વી (Ogilvy) માં જોડાયા હતા. ૧૯૯૪માં તેમને ઓગિલ્વીના બોર્ડમાં નામાંકિત કરવામાં આવ્યા હતા અને તેઓ લાંબા સમય સુધી આ કંપનીના સર્જનાત્મક વડા રહ્યા હતા.
પીયૂષ પાંડેની સર્જનાત્મકતાએ જાહેરાત ક્ષેત્રને એક નવી ઊંચાઈ આપી. તેમના દ્વારા રચવામાં આવેલા સૂત્રો અને વિજ્ઞાપનો આજે પણ લોકોના મનમાં તાજા છે. તેમના પ્રખ્યાત કાર્યોમાં:
- ‘હમારા બજાજ’
- ‘ઠંડા મતલબ કોકા કોલા’
- ‘ફેવિકૉલ’
- એશિયન પેઇન્ટ્સની ‘હર ઘર કુછ કહેતા હૈ’
- કેડબરી ડેરી મિલ્કની ‘ક્રિકેટ જાહેરાત’
- હચ (વોડાફોન)ની ‘પગ જાહેરાત’ નો સમાવેશ થાય છે.
તેમણે ‘મિલે સુર મેરા તુમ્હારા’ જેવા રાષ્ટ્રગીત સમાન પ્રેરણાદાયક ગીતની રચના પણ કરી હતી.
‘અબકી બાર મોદી સરકાર’ના સર્જક:
પીયૂષ પાંડે માત્ર કોમર્શિયલ જાહેરાતો પૂરતા સીમિત નહોતા. ભારતીય રાજકારણમાં યુગ પરિવર્તન લાવનારું સૂત્ર “અબકી બાર મોદી સરકાર” ના સર્જક પણ તેઓ જ હતા. આ સૂત્રએ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને ઐતિહાસિક સફળતા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ ભારત સરકારે તેમને ૨૦૧૬માં પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, ૨૦૨૪માં તેમને LIA લીજેન્ડ એવોર્ડ પણ મળ્યો હતો. પીયૂષ પાંડેનું નિધન દેશના સર્જનાત્મક અને જાહેરાત ઉદ્યોગ માટે એક મોટી ખોટ છે.
