આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કાયદાકીય પરવાનગીઓ વગર ધમધમતી મિલકતો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના વ્યસ્ત ૧૦૦ ફૂટ રોડ પર આવેલ ‘એ-વન પાર્ટી પ્લોટ’ ના સંચાલકો સામે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે.
નોટિસ છતાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ
મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા એ-વન પાર્ટી પ્લોટના માલિકને ગત એપ્રિલ-૨૦૨૫ અને જાન્યુઆરી-૨૦૨૬માં નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં મિલકત સંબંધિત દસ્તાવેજો, વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી (BU) અને ફાયર NOC રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, વારંવારની સૂચના છતાં સંચાલકો કોઈ પણ કાયદેસરના પુરાવા રજૂ કરી શક્યા ન હતા.
બિનખેતી (NA) અને વિકાસ પરવાનગીનો અભાવ
તપાસ દરમિયાન સામે આવ્યું કે આ જમીનમાં કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી તેને વાણિજ્ય હેતુ (કોમર્શિયલ) માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. એટલું જ નહીં, સક્ષમ સત્તાધિકારી પાસેથી વાણિજ્ય હેતુની બિનખેતી (NA) પરવાનગી પણ મેળવવામાં આવી નહોતી.
જાહેર સુરક્ષાને ધ્યાને રાખી સીલ મરાયું
પાર્ટી પ્લોટમાં સામાજિક પ્રસંગો અને લગ્નો દરમિયાન મોટી સંખ્યામાં માનવ મેદની એકત્રિત થતી હોય છે. આવા સંજોગોમાં ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર મિલકતનો ઉપયોગ કરવો એ માનવ જીવન માટે અત્યંત જોખમકારક છે. ભવિષ્યમાં કોઈ જાન-માલની હાનિ ન થાય તેવા ઉમદા હેતુથી મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને ટાઉન પ્લાનિંગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી આ મિલકતને સીલ કરી દેવામાં આવી છે.
