નવી દિલ્હી: ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સત્તાવાર જાહેરાત કરી છે કે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન જાન્યુઆરી ૨૦૨૬માં લોન્ચ કરવામાં આવશે. આ પ્રીમિયમ ટ્રેન સેવા પૂર્વ ભારતના બે મહત્વના શહેરો ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૭ કે ૧૮ જાન્યુઆરીની આસપાસ આ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી શકે છે.
પ્લેન કરતા ઓછું ભાડું અને વર્લ્ડ ક્લાસ સુવિધા
વંદે ભારત સ્લીપર ટ્રેનનું ભાડું મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે. રેલવે મંત્રીના જણાવ્યા મુજબ, ગુવાહાટી-કોલકાતા રૂટ પર ફ્લાઈટનું ભાડું અંદાજે ₹૬,૦૦૦ થી ₹૮,૦૦૦ હોય છે, જેની સરખામણીએ આ ટ્રેનનું ભાડું ઘણું ઓછું હશે:
- 3AC (થ્રી-ટાયર એસી): અંદાજે ₹૨,૩૦૦ (ભોજન સાથે)
- 2AC (ટુ-ટાયર એસી): અંદાજે ₹૩,૦૦૦
- 1AC (ફર્સ્ટ એસી): અંદાજે ₹૩,૬૦૦
કેવી હશે વંદે ભારત સ્લીપર ટ્રેન?
આ ટ્રેનને લાંબા અંતરની રાત્રિ મુસાફરી માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. તેમાં કુલ ૧૬ કોચ હશે, જેમાં:
- ૧૧ થ્રી-ટાયર એસી કોચ (૬૧૧ પેસેન્જર)
- ૪ ટુ-ટાયર એસી કોચ (૧૮૮ પેસેન્જર)
- ૧ ફર્સ્ટ એસી કોચ (૨૪ પેસેન્જર)
મુસાફરોની સુરક્ષા અને આરામ માટે આધુનિક ટેકનોલોજી
ટ્રેન માત્ર ઝડપી જ નહીં પણ સુરક્ષિત પણ છે. તે તાજેતરમાં કોટા-નાગડા સેક્શન પર ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સફળતાપૂર્વક ટ્રાયલ રન પૂર્ણ કરી ચૂકી છે. ટ્રેનમાં મુસાફરો માટે નીચે મુજબની સુવિધાઓ હશે:
- કવચ (Kavach): એન્ટી-કોલિઝન સિસ્ટમ દ્વારા અકસ્માતથી રક્ષણ.
- આરામદાયક બર્થ: ગાદલા અને કુશનિંગમાં નોંધપાત્ર સુધારો.
- ડિસઇન્ફેક્ટન્ટ ટેકનોલોજી: કોચમાં સ્વચ્છતા અને હાઈજીન જાળવવા ખાસ સિસ્ટમ.
- નોઈઝ રિડક્શન: મુસાફરી દરમિયાન બહારનો અવાજ ઓછો આવશે, જેથી ઊંઘમાં ખલેલ ન પહોંચે.
આ ટ્રેન શરૂ થવાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને એક વિશ્વસ્તરીય મુસાફરીનો અનુભવ મળશે.
