વડોદરા/આણંદ: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા અને મહીસાગર નદી પર આવેલા ઐતિહાસિક ગંભીરા બ્રિજ પર ફરી એકવાર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગત જુલાઈ મહિનામાં આ જ બ્રિજ પર સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં ૨૧ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બાદ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હવે સમારકામની પ્રક્રિયા પર્યાવરણ અને નદીની શુદ્ધતા માટે જોખમી સાબિત થઈ રહી છે.
નિયમો નેવે મૂકી નદીમાં ફેંકાઈ રહ્યો છે ડામરનો કચરો
બ્રિજને વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની ઉતાવળમાં કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના અને પર્યાવરણના તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા છે. બ્રિજના ઉપરના પડના રીપેરીંગ દરમિયાન નીકળતો જૂનો ડામર, સિમેન્ટ અને બાંધકામનો કાટમાળ નિયમ મુજબ ટ્રકો દ્વારા બહાર લઈ જઈ વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાનો હોય છે. તેને બદલે, મજૂરો અને મશીનરી દ્વારા આ ઝેરી કાટમાળ સીધો મહીસાગર નદીના પ્રવાહમાં ફેંકવામાં આવી રહ્યો છે.
સ્થાનિકોમાં રોષ: નદી પ્રદૂષિત થવાની ભીતિ
મહીસાગર નદી આ વિસ્તારની જીવનરેખા ગણાય છે. નદીમાં ડામરનો કચરો ફેંકવાથી જળચર સૃષ્ટિને નુકસાન થવા સાથે પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. આ દ્રશ્યો જોઈ સ્થાનિક ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે, “એક તરફ ૨૧ લોકોના જીવ ગયા હોવા છતાં તંત્ર ગંભીર નથી, અને બીજી તરફ હવે નદીને પ્રદૂષિત કરીને નવી આફત નોતરી રહ્યા છે.”
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ
નદીમાં કચરો ફેંકવાની આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મામલે દખલ કરે અને નદીને નુકસાન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. શું તંત્ર માત્ર બ્રિજ પૂરો કરવાની ઉતાવળમાં પર્યાવરણનું બલિદાન આપશે? તેવો પ્રશ્ન હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
