અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ દેશવિરોધી પ્રવૃત્તિઓનું મોટું નેટવર્ક ઝડપી પાડીને ગંભીર આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ‘ગઝવા-એ-હિંદ’ની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત અને ISIS સાથે કનેક્શન ધરાવતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો ભારતમાં અરાજકતા ફેલાવી સશસ્ત્ર બળવો કરવાનું આયોજન કરી રહ્યા હતા.
કોણ છે પકડાયેલા આરોપીઓ?
ATS દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં બે શખ્સોની ધરપકડ કરાઈ છે:
- ઇરફાન કાલેખાન પઠાણ (22 વર્ષ): પાટણ જિલ્લાના સિદ્ધપુરનો રહેવાસી અને MSc કેમેસ્ટ્રીનો વિદ્યાર્થી.
- ખુરશીદ ઝાહિદ અખ્તર શેખ (21 વર્ષ): મહારાષ્ટ્ર પોલીસની મદદથી મુંબઈના સાકીનાકા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી.
RSS નેતાઓ અને રાજકીય હસ્તીઓ હતી ટાર્ગેટ પર
તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને કટ્ટરપંથીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સ્થિત આતંકી જૂથોના સંપર્કમાં હતા. તેમના મોબાઈલ ફોનમાંથી મળેલી વિગતો મુજબ તેમનો પ્લાન અત્યંત ભયાનક હતો:
- ટાર્ગેટ એટેક: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા વ્યક્તિઓ અને મોટા રાજકીય નેતાઓ પર હુમલો કરવાનું ષડયંત્ર હતું.
- બોમ્બ બનાવવાની તૈયારી: કેમેસ્ટ્રીના અભ્યાસનો ઉપયોગ કરીને RDX અને અન્ય વિસ્ફોટકો બનાવવાની પેરવીમાં હતા.
- હથિયારોની હેરાફેરી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હથિયારો મંગાવીને ‘મુજાહિદ્દીન’ તૈયાર કરી તેમને ટ્રેનિંગ આપવાનું આયોજન હતું.
- શરિયા કાયદો: હિંસક માધ્યમો દ્વારા ભારતીય કાયદાના સ્થાને શરિયા કાયદો લાદવાનો તેમનો અંતિમ હેતુ હતો.
સોશિયલ મીડિયા પર દેખરેખ અને કાર્યવાહી
ATS એ ઇરફાનના મોબાઈલમાંથી વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ચેટ્સ રિકવર કરી છે, જેમાં તે ISIS ના ઓપરેટિવ્સ સાથે સતત સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 61 અને 148 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોર્ટે બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં આ મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય શખ્સોના નામ ખૂલવાની શક્યતા છે.
