આણંદ: આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી 111-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં સો ટકા મતદાનના લક્ષ્યાંક સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, સુપર સિનિયર સિટીઝન્સ (85 વર્ષથી વધુ વયના) અને દિવ્યાંગ મતદારો માટે મફત ટ્રાન્સપોર્ટેશન સેવાની જાહેરાત કરવામાં આવી છે.
6 વાહનો, 46 ગામો અને ‘પિક-અપ એન્ડ ડ્રોપ’ સુવિધા
ચૂંટણી તંત્ર દ્વારા ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના તમામ 46 ગામોને આવરી લેતા 06 ખાસ વાહનો મૂકવામાં આવ્યા છે. આ વાહનો નક્કી કરેલા સમયે જે-તે ગામની ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહેશે. ત્યાંથી મતદારોને મતદાન મથક સુધી લઈ જવામાં આવશે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને સુરક્ષિત રીતે ઘરે પરત લાવવામાં આવશે.
વાહનોના રૂટ અને સમયપત્રક (મુખ્ય ગામો):
- વાહન નં. 01: પણસોરા (સવારે 7:00), ઝાલા બોરડી, અરડી, ધોરા, ઊંટખરી, હેમરાજપૂરા અને વણસોલ (સાંજે 4:00 થી 5:00).
- વાહન નં. 02: લિંગડા (7:00), થામણા (9:30), પરવટા (11:15), આશીપુરા, ફતેપુરા અને ઝાંખલા (15:30).
- વાહન નં. 03: સુરેલી (7:00), ધુળેટા (9:45), સુંદરપુરા (12:00) અને બેચરી (15:30).
- વાહન નં. 04: ઓડ નગરપાલિકા (7:00), ખાનકુવા, કણભઈપુરા, ખંભોળજ, સીલી, અહીમા અને ભરોડા.
- વાહન નં. 05: ચિખોદરા (7:00), વઘાસી, સામરખા, બોરીયાવી નગરપાલિકા, કુંજરાવ, ત્રણોલ અને રાસનોલ.
- વાહન નં. 06: ભાલેજ (7:00), બડાપુરા, તારપુરા, મેઘવા, સૈયદપુરા, કાસોર અને રાહત તળાવ.
વધુમાં વધુ મતદાન કરવા અપીલ
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે, “કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. ખાસ કરીને શારીરિક મર્યાદા ધરાવતા મતદારોને મતદાન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.” તેમણે તમામ પાત્ર મતદારોને આ સરકારી પરિવહન સેવાનો લાભ લેવા અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો છે.
