આણંદ: મહીસાગર અને આણંદ જિલ્લાની સરહદે આવેલી 111-ઉમરેઠ વિધાનસભા બેઠક પર આગામી 23મી એપ્રિલ, ગુરુવારના રોજ પેટાચૂંટણી યોજાનાર છે. સવારે 7:00 થી સાંજના 6:00 કલાક સુધી ચાલનારા આ મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચના નિયમ મુજબ, દરેક મતદારે મતદાન મથકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવી અનિવાર્ય છે.
ચૂંટણી કાર્ડ (EPIC) ન હોય તો શું?
સામાન્ય રીતે મતદારે પોતાનું ‘મતદાર ફોટો ઓળખપત્ર’ (એપિક કાર્ડ) રજૂ કરવાનું હોય છે. પરંતુ, જો કોઈ કારણસર તમારી પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ન હોય, તો ગભરાવાની જરૂર નથી. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે કે, ભારતનું ચૂંટણી પંચ અન્ય 12 જેટલા સત્તાવાર દસ્તાવેજોને માન્ય રાખે છે, જેમાંથી કોઈ પણ એક પુરાવો બતાવીને તમે તમારો પવિત્ર મતાધિકાર વાપરી શકો છો.
મતદાન માટે માન્ય 12 વૈકલ્પિક દસ્તાવેજોની યાદી
જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી, તો તમે નીચેનામાંથી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી શકો છો:
- આધાર કાર્ડ
- મનરેગા હેઠળનું જોબ કાર્ડ
- બેંક અથવા પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફ સાથેની પાસબુક
- શ્રમ મંત્રાલય દ્વારા અપાયેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ (આયુષ્માન કાર્ડ)
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાનકાર્ડ (PAN Card)
- NPR હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ
- ભારતીય પાસપોર્ટ
- ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ
- સરકારી/જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા અપાયેલ સર્વિસ ઓળખપત્ર
- ધારાસભ્યો/સંસદ સભ્યોને અપાયેલ સરકારી ઓળખપત્ર
- યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ (UDID – સામાજિક ન્યાય મંત્રાલય)
બિન-નિવાસી ભારતીયો (NRI) માટે ખાસ સૂચના
જે બિન-નિવાસી ભારતીયોની મતદાર તરીકે નોંધણી થયેલ છે, તેમણે પોતાની ઓળખ માટે મતદાન મથકે ફરજિયાતપણે તેમનો “અસલ પાસપોર્ટ” જ રજૂ કરવાનો રહેશે. અન્ય કોઈ દસ્તાવેજ તેમના માટે માન્ય ગણાશે નહીં.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના આ પર્વને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.
