વડગામ: બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ હતી. આ સભામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા વિકાસ વિરોધી અને જાતિવાદ ફેલાવનારા તત્વોને ઓળખી ગઈ છે અને આ ચૂંટણીમાં તેમને જડબાતોડ જવાબ આપશે.
કોંગ્રેસના શાસન અને ભાજપના વિકાસ વચ્ચેનો તફાવત
હર્ષ સંઘવીએ ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, કોંગ્રેસના સમયમાં લોકો વીજળી, પાણી અને સારા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ તરસી રહ્યા હતા. જ્યારે ભાજપ સરકારમાં છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ અને નિ:શુલ્ક અનાજ જેવી સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. તેમણે વડગામના વિકાસના મુદ્દે નવી લાઇબ્રેરી, ખેડૂતોને યોગ્ય વળતર અને છાપી પાસેના નવા બ્રિજનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
કોંગ્રેસમાં ‘કાગડા ઉડે છે’ અને હવાલા કૌભાંડ પર પ્રહાર
નાયબ મુખ્યમંત્રીએ વડગામ કોંગ્રેસ કાર્યાલયની સ્થિતિ પર વ્યંગ કરતા કહ્યું કે, ત્યાં હવે કાર્યકર્તાઓની જગ્યાએ કાગડા ઉડે છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, હવાલાના કરોડો રૂપિયાના દુરુપયોગ દ્વારા ગુજરાતની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા પક્ષનો આ ચૂંટણીમાં જનતા સફાયો કરી દેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસ માટે આ ચૂંટણીનું પરિણામ ઇતિહાસનું સૌથી નબળું સાબિત થશે.
નવા નેતાઓનો ભાજપમાં પ્રવેશ
સભા દરમિયાન વડગામના સામાજિક સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ગુજરાતના વણકર સમાજના આગેવાન અને નિવૃત્ત આચાર્ય ગેનાભાઈ ભીખાભાઈ પરમાર સહિતના અનેક અગ્રણીઓએ નાયબ મુખ્યમંત્રીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે કેસરિયો ધારણ કર્યો હતો.
ઐતિહાસિક લીડ માટે આહ્વાન
સભાના અંતે હર્ષ સંઘવીએ નાગરિકોને અપીલ કરી હતી કે, ગુજરાતને વિકાસના પથ પર આગળ ધપાવવા માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતી અને ઐતિહાસિક લીડ સાથે વિજયી બનાવે. આ પ્રસંગે મંત્રી કમલેશ પટેલ, જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
