બાલાશિનોર: મહિસાગર જિલ્લાના બાલાશિનોર શહેરી વિસ્તારમાં હાલમાં હિપેટાઇટિસ-એ (કમળો) ના કેસોમાં વધારો જોવા મળતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સર્વેક્ષણ તેમજ જનજાગૃતિની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
ઘરે-ઘરે સર્વેક્ષણ અને ક્લોરીનેશન પર ભાર
તંત્ર દ્વારા રચવામાં આવેલી 52 વિશેષ ટીમોએ અત્યાર સુધીમાં બાલાશિનોર અર્બન વિસ્તારના 26,783 ઘરોનું ઝીણવટભર્યું સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે, જેમાં અંદાજે 1,19,497 જેટલી વસ્તીને આવરી લેવામાં આવી છે. પાણી શુદ્ધિકરણ માટે અત્યાર સુધીમાં 1,94,974 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે 5,486 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈનમાં રહેલા લીકેજ શોધી તેને રિપેર કરવાની કામગીરી પ્રગતિમાં છે.
વૈકલ્પિક વ્યવસ્થા અને મોહલ્લા ક્લિનિક
રોગચાળાની ગંભીરતાને જોતા વહીવટી તંત્રએ અનેક આગમચેતીના પગલાં લીધા છે. જે વિસ્તારોમાં પાણી દૂષિત હોવાની શંકા છે ત્યાં ટેન્કરો દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વધુમાં, દરેક વોર્ડમાં ‘મોહલ્લા ક્લિનિક’ શરૂ કરવામાં આવ્યા છે, જેથી અસરગ્રસ્ત દર્દીઓને લાંબે સુધી જવું ન પડે અને ઘરઆંગણે જ ત્વરિત તબીબી સારવાર મળી રહે.
બાળકોની સુરક્ષા માટે આંગણવાડીઓ બંધ
તકેદારીના ભાગરૂપે બાલાશિનોર વિસ્તારના આંગણવાડી કેન્દ્રો હાલ પૂરતા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, બાળકોના પોષણને અસર ન થાય તે માટે અલ્પાહાર અને ભોજન સીધું તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જનજાગૃતિ માટે માઈકિંગ અને 28 હજારથી વધુ પત્રિકાઓ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.
