આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પર્યાવરણની જાળવણી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે મનપાના સેનિટેશન વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓ પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સરદાર ગંજ વિસ્તારમાં દરોડા: ૧૨૦ માઇક્રોનથી પાતળું પ્લાસ્ટિક મળ્યું
તાજેતરમાં મહાનગરપાલિકાની ટીમે આણંદના મુખ્ય વેપારી કેન્દ્ર એવા સરદાર ગંજ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ‘ધનલક્ષ્મી પ્લાસ્ટિક’ નામની પેઢીમાં પ્લાસ્ટિકની ગુણવત્તા અને તેની જાડાઈની ચકાસણી કરવામાં આવી હતી. સરકારના નિયમ મુજબ ૧૨૦ માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં, અહીં મોટા પાયે નિયમ વિરુદ્ધનું પ્લાસ્ટિક મળી આવ્યું હતું.
૨ ટન જથ્થો જપ્ત કરવામાં આવ્યો
ધનલક્ષ્મી પ્લાસ્ટિકમાંથી આશરે ૨ ટન (૨૦૦૦ કિલો) જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સેનિટેશન વિભાગ દ્વારા આ તમામ જથ્થો તાત્કાલિક અસરથી જપ્ત કરી લેવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં પ્લાસ્ટિક પકડાતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા કોઈપણ એકમોને છોડવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની તપાસ તેજ કરવામાં આવશે.
