નર્મદા: નર્મદા જિલ્લામાં ચાલી રહેલા 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડમાં હવે નવો અને અત્યંત સ્ફોટક વળાંક આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકાર અને વહીવટી તંત્ર સામે બગાવતનું રણશિંગું ફૂંક્યું છે. મનસુખ વસાવાએ જાહેરાત કરી છે કે જો સરકાર આ મુદ્દે ન્યાય નહીં કરે તો તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી દેશે.
કલેક્ટરે નિવેદન નકારતા મનસુખ વસાવા ગુસ્સે ભરાયા
સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીને રૂબરૂ મળીને પૂછ્યું કે શું તેમણે ક્યારેય 75 લાખની માંગણી કરી છે? જેના જવાબમાં કલેક્ટરે સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોને નકાર્યા હતા.
કલેક્ટરના આ બદલાયેલા સૂરથી મનસુખ વસાવા લાલચોળ થઈ ગયા છે. તેમણે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા કહ્યું કે, “જિલ્લા કલેક્ટરે મારી અને જિલ્લા પ્રમુખ નીલ રાવની હાજરીમાં રૂબરૂ રજૂઆત કરી હતી કે ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા છે. આજે કલેક્ટર ના પાડે છે, એનો અર્થ એ છે કે કલેક્ટર ચૈતર વસાવા સાથે મળી ગયા છે અને તેમને બચાવી રહ્યા છે.”
“હું ખોટા લોકો સામે લડું છું અને સરકાર એમને બચાવે છે”
મનસુખ વસાવાએ વધુમાં ઉમેર્યું કે, “હું સરકાર અને પ્રામાણિક અધિકારીઓ માટે આવા ખોટા લોકો સામે લડી રહ્યો છું, પણ અહીં તો અધિકારીઓ જ બદલાઈ જાય છે. કલેક્ટર અમારી હાજરીમાં વાત કર્યા પછી કેમ ફરી ગયા તે પૂછવા હું આવતીકાલે રૂબરૂ કલેક્ટર કચેરી જઈશ. જો સરકાર આવા ભ્રષ્ટ તત્વો સામે એક્શન લેવાને બદલે તેમને બચાવશે, તો મારે ભાજપમાં રહેવાની કોઈ જરૂર નથી.”
ચૈતર વસાવા વિરુદ્ધ ખુલ્લો જંગ
આ વિવાદ હવે માત્ર બે નેતાઓ વચ્ચેની લડાઈ મટીને સરકાર વિરુદ્ધ સાંસદ જેવો ઘાટ સર્જાયો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવા ‘તોડબાજ’ લોકોનું ચલાવી લેશે નહીં. બીજી તરફ, કલેક્ટરના નિવેદનથી ચૈતર વસાવાને મોટું રાજકીય પીઠબળ મળ્યું હોય તેવું જણાય છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.
