બ્યુરો રિપોર્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2026ની તેમની પ્રથમ વિદેશ યાત્રા માટે મલેશિયાની પસંદગી કરીને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો પુનરોચ્ચાર કર્યો છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ભારત અને મલેશિયા માત્ર મેરીટાઈમ પડોશી જ નહીં, પરંતુ ઊંડી સાંસ્કૃતિક વિરાસતથી જોડાયેલા મિત્રો છે.
નાગરિકો માટે મોટી જાહેરાતો
બંને દેશોના નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે પીએમ મોદીએ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. :
નવું કોન્સ્યુલેટ: વધતા જતા દ્વિપક્ષીય સંબંધોને ટેકો આપવા માટે ભારત મલેશિયામાં નવું કોન્સ્યુલેટ (Consulate) ખોલશે.
UPI અને ઇ-વિઝા: ડિજિટલ પેમેન્ટ ઇન્ટરફેસ UPI હવે મલેશિયામાં પણ લાગુ થશે. આ સાથે પ્રવાસન વધારવા માટે ગ્રેટિસ (નિઃશુલ્ક) ઇ-વિઝાની સુવિધા પણ આપવામાં આવશે.
સોશિયલ સિક્યુરિટી: મલેશિયામાં કામ કરતા ભારતીય શ્રમિકોના રક્ષણ માટે સોશિયલ સિક્યુરિટી એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે.
તમિલ ભાષા અને સાંસ્કૃતિક જોડાણ
પીએમ મોદીએ મલેશિયામાં વસતા 30 લાખ ભારતીયોને બંને દેશો વચ્ચેનો ‘લિવિંગ બ્રિજ’ ગણાવ્યો હતો. તેમણે ખાસ કરીને તમિલ ભાષા પ્રત્યેના મલેશિયાના પ્રેમની પ્રશંસા કરતા જણાવ્યું કે નવા ‘ઓડિયો-વિઝ્યુઅલ એગ્રીમેન્ટ’ થી ફિલ્મ અને સંગીત, ખાસ કરીને તમિલ ફિલ્મોના માધ્યમથી બંને દેશોના લોકો વધુ નજીક આવશે.
સુરક્ષા અને આતંકવાદ પર કડક વલણ
વૈશ્વિક પડકારો અંગે ચર્ચા કરતા પીએમ મોદીએ આતંકવાદ વિરુદ્ધ ભારતનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું, “No double standards. No compromise”. બંને દેશો કાઉન્ટર ટેરરિઝમ, ઇન્ટેલિજન્સ શેરિંગ અને મેરીટાઈમ સિક્યુરિટીમાં સહયોગ મજબૂત કરવા સંમત થયા છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), હેલ્થ અને ફૂડ સિક્યુરિટી જેવા ભાવિ ક્ષેત્રોમાં પણ ભાગીદારી આગળ વધારવામાં આવશે.
આસિયાન અને ઇન્ડો-પેસિફિક
મલેશિયાની સફળ આસિયાન (ASEAN) અધ્યક્ષતા માટે અભિનંદન પાઠવતા પીએમ મોદીએ જણાવ્યું કે ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે કટિબદ્ધ છે. તેમણે આસિયાન-ભારત વેપાર કરાર (AITIGA) ની સમીક્ષા વહેલી તકે પૂર્ણ કરવા પર પણ ભાર મૂક્યો હતો.
