બાંગ્લાદેશના રાજકારણમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. ૨૦૨૪ના વિરોધ પ્રદર્શનો (Protests)ના કેસમાં ટ્રિબ્યુનલ દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે શેખ હસીનાએ “વિદ્યાર્થીઓ પર હુમલા માટે ઉશ્કેરણી” કરી હતી, જે માનવતા વિરુદ્ધના ગુના સમાન છે. ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને પણ આ કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
શેખ હસીનાની પ્રતિક્રિયા: ‘ચુકાદો રાજકીય રીતે પ્રેરિત’
પોતાની સામેના આ મૃત્યુદંડના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા શેખ હસીનાએ એક નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે, “મારી વિરુદ્ધ જાહેર કરાયેલા ચુકાદાઓ બનાવટી ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યા છે, જેની સ્થાપના અને જેના વડા લોકશાહી જનાદેશ વિનાની બિન-ચૂંટાયેલી સરકારે કર્યા છે. તેઓ પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત છે.” હસીનાએ આક્ષેપ કર્યો કે આ “દ્વેષપૂર્ણ મૃત્યુદંડની માંગણી” દ્વારા વચગાળાની સરકારમાં રહેલા કટ્ટરપંથી તત્ત્વોનો ઈરાદો બાંગ્લાદેશના છેલ્લા ચૂંટાયેલા વડા પ્રધાનને દૂર કરવાનો અને અવામી લીગ (Awami League) ને રાજકીય શક્તિ તરીકે રદ કરવાનો છે.
તેમણે પોતાના માનવ અધિકાર અને વિકાસના રેકોર્ડનો બચાવ કરતા જણાવ્યું હતું કે, “અમે ૨૦૧૦માં આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં જોડાયા, મ્યાનમારમાં સતાવણીનો ભોગ બનેલા હજારો રોહિંગ્યાઓને આશ્રય આપ્યો, અને ૧૫ વર્ષમાં જીડીપીમાં ૪૫૦% નો વધારો કર્યો, લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. આ ઉપલબ્ધિઓ ઐતિહાસિક છે.”
વચગાળાની સરકારનું નિવેદન: ‘શાંતિ જાળવો’
શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રીને માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ ફાંસીની સજા મળ્યા બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારે (Interim Government) આને ઐતિહાસિક ચુકાદો ગણાવ્યો છે. સરકારે એક નિવેદનમાં જનતાને શાંત, સંયમિત અને જવાબદાર રહેવા વિનંતી કરી છે. નાગરિકોને ખાસ કરીને ચુકાદા પછીના સમયગાળામાં કોઈપણ પ્રકારના ગેરવર્તણૂક, હિંસા અથવા ગેરકાનૂની પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે ચેતવણી આપી છે કે આ ચુકાદાથી ઊભી થતી લાગણીઓને કારણે જો કોઈ વ્યક્તિ જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડશે કે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ચુકાદો જુલાઈના બળવા (July Uprising) માં શહીદ થયેલા પરિવારો દ્વારા લાંબા સમયથી રાહ જોવાતો હતો, તેથી લોકોમાં તીવ્ર લાગણીઓ જોવા મળી શકે છે. હાલમાં સમગ્ર બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ શાંતિનો માહોલ છે.
