વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો હાલમાં રખડતા શ્વાનના આતંકથી અત્યંત પરેશાન છે. શહેરમાં શ્વાન કરડવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, વડોદરા શહેરમાં રોજિંદા સરેરાશ ૩૫ જેટલા શ્વાન કરડવાના કેસ સામે આવી રહ્યા છે, જેનો અર્થ એ થાય કે દર વર્ષે અંદાજે સરેરાશ ૧૨,૦૦૦ જેટલા નાગરિકો રખડતા શ્વાનનો શિકાર બની રહ્યા છે. વર્ષ ૨૦૧૪ની છેલ્લી સત્તાવાર ગણતરી મુજબ વડોદરામાં રખડતા શ્વાનની સંખ્યા અંદાજે ૪૦,૦૦૦ જેટલી હતી, જે અત્યારે ઘણી વધારે હોવાની આશંકા છે.
રાજ્ય સરકારનો ૧૦૦ દિવસનો અલ્ટીમેટમ: GPSથી થશે ગણતરી
શેરી શ્વાનના વધતા ત્રાસને ડામવા માટે રાજ્ય સરકારે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓને આગામી ૧૦૦ દિવસમાં શેરી શ્વાનોની સચોટ ગણતરી કરવાનો કડક આદેશ આપ્યો છે. આ આદેશને પગલે વડોદરા કોર્પોરેશન (VMC) હરકતમાં આવ્યું છે અને શ્વાનોની ગણતરી માટે આધુનિક GPS સોફ્ટવેરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪માં પણ આ પ્રકારે GPS સોફ્ટવેરની મદદથી શ્વાનોની ડિજિટલ ગણતરી કરવામાં સમગ્ર રાજ્યમાં વડોદરા કોર્પોરેશન પ્રથમ ક્રમે રહ્યું હતું.
સુપ્રિમ કોર્ટના હુકમ બાદ પાલિકા એક્શન મોડમાં, ૪ ઝોનમાં બનશે શેલ્ટર હોમ
નાગરિકોની સુરક્ષા અને અદાલતી આદેશોને પગલે પાલિકાનું તંત્ર હવે સક્રિય બન્યું છે. સુપ્રિમ કોર્ટના ગાઈડલાઈન મુજબ હોસ્પિટલ, સ્કૂલો અને રહેણાંક સોસાયટીઓમાંથી પકડેલા હુમલાખોર અને હડકાયા શ્વાનોને કાયમી ધોરણે ડોગ શેલ્ટર હોમમાં રાખવાના હુકમનું કડક પાલન કરવાનું રહેશે. આ માટે પાલિકાની માર્કેટ શાખા દ્વારા જાન્યુઆરી ૨૦૨૬થી જ વડોદરાના ચાર જુદા-જુદા ઝોનમાં નવા કાયમી ડોગ શેલ્ટર હોમ બનાવવા માટે જમીન/જગ્યા ફાળવવાની માંગણી વહીવટી તંત્ર પાસે કરવામાં આવી છે.
લાખોનો ખર્ચ છતાં વર્તમાન સુવિધા અપૂરતી
માર્કેટ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. વિજય પંચાલે વિગતો આપતા જણાવ્યું છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા પાછલા ૧૦ વર્ષમાં આશરે ૮૦,૦૦૦ જેટલા શ્વાનોનું ખસીકરણ (Sterilization) કરવામાં આવ્યું છે. હાલમાં શહેરમાં શેરી કૂતરાઓ પાછળ, તેમના ખસીકરણ અને સારસંભાળ મળીને વર્ષે અંદાજે રૂ. ૮૦ થી રૂ. ૯૦ લાખ જેટલો માતબર ખર્ચ કરવામાં આવે છે.
હાલમાં કોર્પોરેશન હસ્તક ખટંબા ખાતે એક ડોગ શેલ્ટર હોમ કાર્યરત છે, જેની કુલ કેપેસિટી ૩૫૦ શ્વાન રાખવાની છે અને હાલ તેમાં ૧૫૦ જેટલા શેરી શ્વાનોને રાખવામાં આવ્યા છે. જોકે, હોસ્પિટલો, શાળાઓ અને સોસાયટીઓમાંથી હુમલાખોર ડોગ પકડીને કાયમી રાખવા માટે આ વર્તમાન સુવિધા અત્યંત અપૂરતી સાબિત થઈ રહી છે. આગામી સમયમાં નવા ચાર શેલ્ટર હોમ બન્યા બાદ જ કાયમી વ્યવસ્થા ઊભી થઈ શકશે, જેને કારણે પાલિકાના બજેટ અને ખર્ચમાં પણ મોટો વધારો થવાની સંભાવના છે.
