અરવલ્લી : આજે ૨૦મી માર્ચ એટલે ‘વિશ્વ ચકલી દિવસ’. એક સમયે જેનો કિલકિલાટ દરેક ઘરના આંગણે સંભળાતો હતો, તે ચકલી આજે લુપ્ત થવાના આરે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ચકલીઓના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. પ્રકૃતિમાં ઈકોલોજીકલ સંતુલન જાળવવાની સાથે-સાથે પરાગનયન અને બીજના વિસ્તરણમાં ચકલી અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આધુનિકરણ અને વધતા પ્રદૂષણને કારણે તેનું અસ્તિત્વ જોખમાયું છે.
બામણા ગામનું ‘વિહંગનો વિસામો’ અભિયાન
અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા બામણા ગામમાં ચકલીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે. અહીં ‘વિહંગનો વિસામો’ નામનું અભિયાન વર્ષના ૩૬૫ દિવસ અવિરતપણે ચાલે છે. ‘પક્ષીઓ બચાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ’ સૂત્રને સાર્થક કરતા ઈન્દુબેનની સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આશ્રયસ્થાન ઉભા કરવામાં આવી રહ્યા છે.
૯૭૦૦થી વધુ માળાઓનું વિતરણ
આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૯૭૦૦થી વધુ માટીના માળા, પક્ષી ઘર, પાણીના કુંડા અને ચણપાત્રનું વિતરણ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાં લોકોને પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ અભિયાનને કારણે બામણા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ ચકલીઓનો કિલકિલાટ જીવંત રહ્યો છે.
પર્યાવરણ માટે ચકલીનું મહત્વ
વિજ્ઞાનીઓના મતે, ચકલીઓ નાના જીવજંતુઓ ખાઈને ખેતીના પાકોને નુકસાન થતું અટકાવે છે. જો ચકલીઓ લુપ્ત થશે તો કુદરતી સંતુલન ખોરવાઈ શકે છે. આજના દિવસે સંદેશ આપવામાં આવ્યો છે કે, આપણે આપણા ઘરની ગેલેરી કે આંગણામાં એક નાનો માળો કે પાણીનું કુંડું રાખીને આ નાનકડા પક્ષીને બચાવવામાં સહભાગી બની શકીએ છીએ.
