ગાંધીનગર: “વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ,” કવિરાજ ઉમાશંકર જોશીની આ અમર કાવ્યપંક્તિને સાચા અર્થમાં જમીન પર ઉતારવાનું ભગીરથ કાર્ય ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી તથા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કરી બતાવ્યું છે. મોરબીના પાદરે આવેલા મચ્છુ (૨) ડેમના કિનારે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની ૧૨૦ વીઘા પડતર જમીન પર માત્ર ૩૭ દિવસમાં અકલ્પનીય રીતે ૧૦ લાખ વૃક્ષો વાવીને આખા વિસ્તારની સૂરત બદલી નાખવામાં આવી છે.
માત્ર ૩૭ દિવસમાં ૧૦ લાખ વૃક્ષોનું વાવેતર: ૫૦૦ લોકોની અથાગ મહેનત
“કાનાભાઈ” ના હુલામણા નામથી જાણીતા અને મોરબી પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટી કાંતિલાલ અમૃતિયાએ આ મિશનના પ્રારંભિક દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, “જ્યારે અમે એક મહિનામાં ૧૦ લાખ રોપાઓ વાવવાનો મક્કમ નિર્ધાર કર્યો, ત્યારે વૃક્ષારોપણ ક્ષેત્રે મોટું કાર્ય કરતી સંસ્થા ‘સદભાવના વૃદ્ધાશ્રમ’ (રાજકોટ) ની મદદથી માઇક્રો-પ્લાનિંગ કર્યું. જમીન સાવ પડતર અને ખરાબો હોવાથી બહારથી હજારો ટન ફળદ્રુપ માટી અને છાણીયું ખાતર લાવીને જમીનને ખેતીલાયક બનાવી. ત્યારબાદ ૫૦૦ જેટલા શ્રમિકો અને સ્વયંસેવકોની ટીમે રોજ ૨૫ થી ૩૦ હજાર વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. માત્ર ૩૭ દિવસના અથાક પરિશ્રમના અંતે અમે ૧૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો.” આ વૃક્ષોના નિયમિત ઉછેર અને પાણીની જવાબદારી હાલ સદભાવના વૃદ્ધાશ્રમ સંભાળી રહ્યું છે.
PM મોદીના ૭૫માં જન્મદિવસે ‘નમો વન’નું લોકાર્પણ થયું હતું
વર્ષ ૨૦૨૫ માં સપ્ટેમ્બર ૧૭ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મદિવસે મોરબીના આ વિરાટ હરિયાળા પટ્ટાને ‘નમો વન’ (Namo Van) નામ આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના જનતાને સમર્પિત કરાયું હતું. આઠ મહિના પહેલા જે વિસ્તાર સાવ વેરાન વગડો હતો, તે આજે ૧૦ લાખ વૃક્ષોની વનરાજીથી લહેરાઈ રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી આ વનની મુલાકાત લીધી હતી અને પ્રવાસીઓ તેમજ મોરબીના નાગરિકો આ વન કવચનો આનંદ માણી શકે તે માટે રૂ. ૩ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાની વિશેષ ગ્રાન્ટ ફાળવી આપી છે.
કેન્સર સામે જંગ જીત્યા કાનાભાઈ, હવે પ્રકૃતિની શરણમાં
૬૪ વર્ષીય ધારાસભ્ય અને મંત્રી કાંતિલાલ અમૃતિયાની ગ્રીન ક્રાંતિ પાછળ તેમનો અડગ મનોબળ અને એક કરુણ સંઘર્ષ છુપાયેલો છે. તાજેતરમાં જ તેમને કેન્સર જેવી ગંભીર બીમારીનું નિદાન થયું હતું. સામાન્ય માણસ કેન્સરના નામથી ભાંગી પડે, પરંતુ કાનાભાઈએ મક્કમતાથી ૫ કીમોથેરાપી પૂર્ણ કરી અને હાલ ઇમ્યુનોથેરાપી લઈ રહ્યા છે. બીમારી વચ્ચે પણ તેમણે જનસેવા અને લોકસંપર્ક છોડ્યો નથી.
તેમણે ભાવુક થઈને જણાવ્યું કે, “કેન્સરની સર્જરી બાદ મને અહેસાસ થયો છે કે કુદરતે મને આ બીજું જીવન આપ્યું છે. હવે હું મારું આ શેષ જીવન પ્રાકૃતિક ખેતી, પર્યાવરણની રક્ષા અને વૃક્ષારોપણની જાગૃતિ માટે સમર્પિત કરવા માંગું છું. અમે સરકાર પાસે મચ્છુ ડેમની આસપાસની વધુ સરકારી જમીનની માંગણી કરી છે, જેથી ત્યાં પણ આવું જ બીજું મોટું વન ઉભું કરીને આગામી પેઢીને શુદ્ધ ઓક્સિજન આપી શકાય.”
