ગાંધીનગર: આફ્રિકન ખંડના દેશો કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં જીવલેણ ઈબોલા વાયરસ (Ebola Virus) ના કેસોમાં અચાનક થયેલા વધારાને પગલે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રીય એડવાઈઝરી બાદ આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતા પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું હતું કે, “ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી, જેથી નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની કે અફવાઓથી દોરવાવાની જરૂર નથી.”
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ
રાજ્ય સરકારે આગોતરી તકેદારીના ભાગરૂપે સંક્રમિત દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે કડક પ્રોટોકોલ લાગુ કરી દીધો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજે ૦૬:૦૦ વાગ્યાથી લઈને સવારના ૧૦:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખાસ મોનિટરિંગ સેલ એક્ટિવ કરવામાં આવ્યો છે. યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી વાયા કનેક્ટિંગ ફ્લાઇટ અથવા સીધા આવતા તમામ પેસેન્જરોનું એરપોર્ટ પર જ સઘન સ્ક્રીનિંગ (Strict Screening) કરવામાં આવી રહ્યું છે. પ્રફુલ પાનશેરીયાએ ઉમેર્યું કે આ કડક ચેકિંગ માત્ર પ્રભાવિત આફ્રિકન દેશોના મુસાફરો માટે જ છે, અન્ય દેશોથી આવતા લોકોને કોઈ ચિંતાનું કારણ નથી.
અમદાવાદ-સુરતમાં આઇસોલેશન વોર્ડ તૈયાર, ૧૦૨ બેડ અનામત
કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ રાજ્યમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યું છે:
અમદાવાદ સિવિલ હોસ્પિટલ: ઈબોલા શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે ૩૨ બેડની ડેઝીગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
સુરત સિવિલ હોસ્પિટલ: દક્ષિણ ગુજરાતને આવરી લેવા માટે ૧૦ બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ સજ્જ કરાયો છે.
એસ.વી.પી. હોસ્પિટલ (અમદાવાદ): એરપોર્ટ પરથી મળતા શંકાસ્પદ પેસેન્જરોને તાત્કાલિક ક્વોરેન્ટાઈન કરવા માટે ૬૦ બેડની અલાયદી અને અત્યંત આધુનિક સુવિધા કાર્યરત કરવામાં આવી છે.
તંત્ર સંપૂર્ણ સજ્જ, માત્ર તકેદારી રાખવાની અપીલ
આરોગ્ય વિભાગની આખી ટીમ, તબીબો અને પેરામેડિકલ સ્ટાફને ઈબોલા વાયરસના લક્ષણો અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અંગે બ્રીફિંગ આપી દેવામાં આવ્યું છે. જો કોઈ પણ મુસાફરમાં શંકાસ્પદ લક્ષણો જણાશે, તો ગણતરીની મિનિટોમાં જ ગાઈડલાઈન મુજબ આઈસોલેટ કરી તેની સારવાર શરૂ કરી દેવાશે. અંતમાં મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગુજરાતની જનતાને આશ્વસ્ત કરતા જણાવ્યું હતું કે, આપણું આરોગ્ય તંત્ર નાગરિકોની સુરક્ષા માટે ૨૪ કલાક કટિબદ્ધ છે. માત્ર પ્રભાવિત દેશોની મુસાફરી કરીને આવેલા લોકોએ પોતાની હેલ્થ હિસ્ટ્રી એરપોર્ટ પર સાચી જાહેર કરીને તંત્રને સહયોગ આપવો જરૂરી છે, જેથી સંક્રમણ ફેલાવવાની કોઈ શક્યતા ન રહે.
