સુરત: સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણના સ્તરને વધુ મજબૂત કરવાના હેતુથી ગુરુવારથી “પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬” નો ભવ્ય પ્રારંભ થયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ મહોત્સવ અંતર્ગત ખટોદરા કોલોની સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક: ૪૫, ૪૬ અને ૨૭૫ માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. તેમણે બાલવાટિકા અને ધોરણ-૧ ના ૩૭૩ જેટલા ભૂલકાઓને કુમકુમ તિલક કરીને ઉમળકાભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ વિશેષ સ્નેહભાવ સાથે બાળકોને પોતાના તરફથી ડ્રોઈંગ બુક અને કલરપેન બોક્સ સહિતની શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. શાળામાં પ્રથમવાર પગ મૂકનારા બાળકોના રૂમાલ પર કુમકુમ પગલાની છાપ પાડીને સ્મૃતિ ચિહ્ન તરીકે ભેટ આપવામાં આવી હતી.
ખાનગી શાળાઓ છોડી 4700થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળા પર મૂક્યો વિશ્વાસ
શાળા પ્રવેશોત્સવને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “બે દાયકાથી વધુની સફળ સફર બાદ આ શાળા પ્રવેશોત્સવ હવે ગુણવત્તાસભર શિક્ષણનો એક મોટો મહાયજ્ઞ બની ચૂક્યો છે.” તેમણે ઉમેર્યું કે સુરત મનપા સંચાલિત શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા એટલી હદે સુધરી છે કે આ વર્ષે જ ખાનગી શાળાઓ (Private Schools) છોડીને ૪,૭૦૮ વિદ્યાર્થીઓએ મનપાની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. આ વર્ષે સુરત જિલ્લામાં કુલ ૨૧,૧૧૩ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જેમાં બાલવાટિકાના ૯,૦૨૮ ભૂલકાઓ સામેલ છે. હાલમાં સુરત મનપાની શાળાઓમાં ૧,૯૯,૧૮૬ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
સુરતનું બહુભાષી મોડેલ: દેશની 6 ભાષાઓમાં શિક્ષણ
નાયબ મુખ્યમંત્રીએ સુરત પાલિકાની પ્રશંસા કરતા કહ્યું કે, સુરત એક વિશાળ હૃદય ધરાવતું મિની ભારત છે. અહીં વસતા દરેક ભાષાના પરિવારોના બાળકો પોતાની માતૃભાષામાં ભણી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા દેશની છ મુખ્ય ભાષાઓ – ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉર્દૂ, ઉડિયા અને અંગ્રેજી માધ્યમમાં શાળાઓ શરૂ કરીને એક અદ્ભુત બહુભાષી મોડેલ અમલી બનાવવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ ‘ઘરના પોલીસ’ બને અને માતા-પિતાને હેલ્મેટ પહેરાવે!
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમો અંગે બાળકોને ખૂબ જ રસપ્રદ રીતે સમજણ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ‘ઘરના પોલીસ’ બનવા હાકલ કરતા જણાવ્યું કે, “જો આપણા માતા-પિતા કે પરિવારના સભ્યો હેલ્મેટ પહેર્યા વિના ઘરની બહાર બાઇક લઈને જતા હોય, તો તેમને અટકાવો. હેલ્મેટ પહેર્યા વિના બહાર ન જવા દેવા માટે જિદ્દ કરો. કારણ કે માતા-પિતાનું જીવન અમૂલ્ય છે અને આપણી નાની બેદરકારી જીવ જોખમમાં મૂકી શકે છે.”
આ ઉપરાંત તેમણે શિક્ષકો અને વાલીઓને અપીલ કરી હતી કે બાળકોને મોબાઈલ અને માત્ર પુસ્તકિયા જ્ઞાનથી દૂર રાખીને રમતા-રમતા હસતા શીખવવું જોઈએ. બાળકો પોતાના મહોલ્લા અને ઘર-આંગણે સ્વચ્છતા રાખે તેવા સંસ્કારોનું સિંચન પણ જરૂરી છે.
શાળા પરિસરમાં વૃક્ષારોપણ અને ટ્રાફિક શપથ
પર્યાવરણના જતન માટે નાયબ મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કાર્યક્રમમાં હાજર સૌ લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જવાબદાર નાગરિક તરીકે માર્ગ અકસ્માતો નિવારવા માટેના સત્તાવાર શપથ ગ્રહણ કર્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં સુરતના મેયર માયાબેન માવાણી, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા સહિતના કોર્પોરેટરો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
