ગાંધીનગર: રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વો અને નકલી ઔષધ કેમિકલ ગિરોહ સામે ગુજરાત સરકાર ‘ઝીરો ટોલરન્સ’ (Zero Tolerance) નીતિ અપનાવી રહી છે. ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ (FDCA) દ્વારા રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે સામાન્ય જનતાના આરોગ્યને નુકસાન પહોંચાડતા ભેળસેળિયાઓ અને નકલી દવાઓ વેચનારાઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવશે.
દવા ક્ષેત્રે કડક સપાટો: ૫૦ પરવાના રદ, બનાવટી ‘નિકાર્ડિયા’ અને ‘ટ્રામાડોલ’નું નેટવર્ક બસ્ટ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બેઠક બાદ માહિતી આપતાં જણાવ્યું કે, FDCA ના સઘન ચેકિંગ દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાતાં ૫૦ ઔષધ પેઢીઓના વેચાણ પરવાના રદ કરી દેવાયા છે. રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન અંતર્ગત ૨ દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર, ૮ ના પરવાના સ્થગિત અને ૧૧ દવાઓ બનાવવાના પરવાના રદ કરાયા છે. અપ્રમાણસર જાહેર થયેલી ૨૦ દવાઓના ઉત્પાદકોને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે. આ સાથે તપાસ કરાયેલા ૪૨ સેન્ટર્સ પૈકી ૩ ને ક્લોઝર ઓર્ડર અને ૧૨ ને નોટિસ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના વાઘોડિયા ખાતે મેડિકલ સ્ટોરની બાજુમાંથી ગેરકાયદેસર રીતે વેચાતા ‘ટ્રામાડોલ’ ના નશાકારક ઈન્જેક્શન જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે. J.B. Chemicals ના નામે વેચાતી બનાવટી ‘Nicardia Retard 10’ ટેબ્લેટ્સના કૌભાંડમાં ૩૦ થી વધુ સ્થળે દરોડા પાડી રૂ. ૧.૭૫ લાખનો શંકાસ્પદ જથ્થો સીલ કરાયો છે. આ રેકેટની સપ્લાય ચેઈન ઉત્તર પ્રદેશના લખનઉ (સેના ફાર્મા) થી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી વિસ્તરેલી હોવાનું બહાર આવતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધી મૂળ ઉત્પાદક સુધી પહોંચવા તપાસ તેજ કરાઈ છે. અમદાવાદના ત્રાગડ ખાતે ‘આનકી હર્બલ’માંથી રૂ. ૨.૬૮ લાખના ગેરકાયદે કોસ્મેટિક્સ અને કપડવંજ-ધોળીકૂઇ ખાતે બાવીશી દવાખાનામાંથી ‘રતવાની ગેરકાયદે દવા’નું ઉત્પાદન ઝડપી રૂ. ૬૬,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
૪૨,૯૮૮ કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યપદાર્થો જપ્ત: આંકડાકીય વિગતો
પવિત્ર શ્રાવણ માસ અને આગામી તહેવારોને ધ્યાને રાખી તંત્ર દ્વારા દૂધ, ઘી, ખાદ્યતેલ અને મસાલા જેવી રોજિંદી વસ્તુઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઓગસ્ટ માસ દરમિયાન ૨,૨૩૮ ખાદ્ય વ્યવસાયિકોની તપાસ કરાઈ અને ૨,૫૯૧ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા હતા.
| શહેર / જિલ્લો | જપ્ત કરાયેલ શંકાસ્પદ ખાદ્યસામગ્રી | જથ્થો (કિલોગ્રામમાં) |
| પાટણ | ખાદ્ય તેલ અને સામાન્ય તેલ | ૨૧,૨૦૪ કિગ્રા (૧૪,૭૦૯ + ૬,૪૯૫) |
| કામરેજ (સુરત) | શંકાસ્પદ ઘી | ૫,૧૫૭ કિગ્રા |
| જામનગર | શંકાસ્પદ દૂધનો જથ્થો | ૭,૧૩૮ કિગ્રા |
| ડીસા (બનાસકાંઠા) | ભેળસેળયુક્ત મરચાં પાવડર | ૬,૦૭૧ કિગ્રા |
| કુલ જપ્ત જથ્થો | રાજ્યભરમાંથી કુલ શંકાસ્પદ સામગ્રી | ૪૨,૯૮૮ કિગ્રા (કિંમત રૂ. ૯૩.૪૭ લાખ) |
હોટેલ-ઢાબા અને ડેરી એનાલોગ સામે કાર્યવાહી
રાજ્યમાં રેસ્ટોરન્ટ્સ અને ઢાબાઓ પર સ્વચ્છતા જાળવવા ૧,૬૨૫ થી વધુ એકમોનું આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ક્ષતિઓ ધરાવતા ૩૦૬ એકમોને સુધારણા નોટિસ પાઠવવામાં આવી અને ગંભીર બેદરકારી દાખવનારા ૩૮ એકમોના લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરાયા છે. ઉપરાંત, બનાવટી પનીર/ચીઝ તરીકે વપરાતા ‘ડેરી એનાલોગ’ ના ગેરકાયદે ઉપયોગ સામે ૩,૦૭૮ પેઢીઓ તપાસીને રૂ. ૭.૫૪ લાખની કિંમતનો ૨,૫૫૩ કિગ્રા બિન-ગુણવત્તાયુક્ત જથ્થો સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો. FDCA અને રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા માટે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખશે.
