મુંબઈ: બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવર્તતા નેપોટિઝમ, પાવર ગેમ્સ અને રાજકારણ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા (X) પર એક પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે, તેઝાબ (૧૯૮૮) જેવી સુપરહિટ ફિલ્મમાં માધુરી દીક્ષિત સામે મુખ્ય ભૂમિકા માટે તેમની પસંદગી થઈ હતી, પરંતુ એક અભિનેતાના મોટા ભાઈના પ્રભાવ હેઠળ તેમને ફિલ્મમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.

આદિત્ય પંચોલીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તેઓ ‘તેઝાબ’ માટે મૂળ પસંદગી હતા અને દિગ્દર્શક એન. ચંદ્રા આજે પણ આ વાતની પુષ્ટિ કરી શકે છે. જોકે, એક અભિનેતાએ પોતાના મોટા ભાઈ (જેઓ હજી પણ ઉદ્યોગમાં સક્રિય છે) દ્વારા દિગ્દર્શક પર દબાણ લાવીને તેમને રિપ્લેસ કરાવ્યા હતા. આદિત્ય પંચોલીનો આ ઇશારો અભિનેતા અનિલ કપૂર અને તેમના ભાઈ, જાણીતા નિર્માતા બોની કપૂર તરફ હોવાનું માનવામાં આવે છે, જેમના કારણે આદિત્ય પંચોલીએ તેઝાબ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ ગુમાવી.
‘બોલિવૂડમાં નેપોટિઝમ કરતાં રાજકારણ વધુ ઊંડું’:
તાજેતરમાં એક અભિનેતાએ પોતાની નવી ફિલ્મનું પ્રમોશન કરતી વખતે નેપોટિઝમ વિશે વાત કરી, જેના સંદર્ભમાં આદિત્ય પંચોલીએ પોતાનો આક્રોશ ઠાલવ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ફિલ્મ ઉદ્યોગમાં રાજકારણ નેપોટિઝમ કરતાં વધુ ઊંડું છે. પક્ષપાત, હેરફેર (manipulation) અને સત્તાના ખેલ (power games) પારિવારિક સંબંધો કરતાં પણ વધુ કારકિર્દીને આકાર આપે છે”.
આદિત્ય પંચોલીના આ ખુલાસાએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. નેપોટિઝમના વિવાદો વચ્ચે, પંચોલીના આ નિવેદને ઉદ્યોગમાં ચાલી રહેલી ‘પાવર ગેમ્સ’ અને રાજકીય દાવપેચ પર પ્રકાશ પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, અભિનેતા હર્ષવર્ધન રાણેએ પોતાની ફિલ્મ ‘એક દીવાને કી દીવાનીયત’ ની સફળતા બાદ ટિપ્પણી કરી હતી કે, “તમે લોકોએ બોલિવૂડમાંથી આખું નેપોટિઝમ જ ખતમ કરી દીધું છે”, જે બતાવે છે કે ઉદ્યોગમાં હાલમાં આ મુદ્દો ચર્ચાનો વિષય છે.
