અમદાવાદ: શહેરમાંથી વધુ એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કલંકિત માનસિકતા દર્શાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ચાર માળિયા સોસાયટીમાં એક સગીરા પર તેના જ પાડોશીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સગીરાને ઘરમાં એકલતાનો લાભ લઈ ચા બનાવવાના બહાને બોલાવી આ કૃત્ય આચરવામાં આવ્યું હતું.
ઘરમાં કોઈ ન હોવાનું કહી ચા બનાવવા બોલાવી
પોલીસના જણાવ્યા અનુસાર, વટવાના ચાર માળિયા વિસ્તારમાં ૩૪ વર્ષીય આરોપી ઇમ્તિયાઝ અહેમદ બાવા યુસુફભાઈ શેખ રહે છે. ગત ૩૦મી તારીખે બપોરે આશરે ૩:૦૦ વાગ્યાની આસપાસ આરોપી ઘરમાં એકલો હતો. તેણે સગીરાની માતાને કહ્યું કે, “મારા ઘરે કોઈ નથી, તમારી દીકરીને મારા માટે ચા બનાવવા મોકલો.” પાડોશી હોવાના કારણે માતાએ સગીરાને ચા બનાવવા માટે તેના ઘરે મોકલી આપી હતી.
ચા બનાવડાવી અને પછી નાસ્તો લેવા મોકલીને આચર્યું દુષ્કર્મ
સગીરા જ્યારે ઇમ્તિયાઝના ઘરે પહોંચી ત્યારે નરાધમે પહેલા તેની પાસે ચા બનાવડાવી હતી. ત્યારબાદ તેણે સગીરાને બહારથી નાસ્તો લઈ આવવા માટે મોકલી હતી. માસૂમ સગીરા જ્યારે બહારથી નાસ્તો લઈને પરત ફરી ત્યારે ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી આરોપીએ તેની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા અને ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે સગીરાને ધમકી આપી હતી કે જો આ અંગે તે કોઈને પણ જાણ કરશે તો તેના પરિણામ ભોગવવા પડશે.
માતાને શંકા ગઈ અને સમગ્ર મામલો સામે આવ્યો
દીકરી લાંબા સમય સુધી પરત ન ફરતા સગીરાની માતાને શંકા ગઈ હતી. આથી તેઓ તપાસ કરવા માટે પાડોશી ઇમ્તિયાઝના ઘરે પહોંચ્યા હતા. ત્યાં ઘરમાં શંકાસ્પદ સ્થિતિ જોતા માતાએ દીકરીને પૂછપરછ કરી હતી, પરંતુ ભયભીત થયેલી સગીરાએ શરૂઆતમાં ડરના કારણે કંઈ જ જણાવ્યું ન હતું. જોકે, બીજે દિવસે એટલે કે ૧લી તારીખે સગીરાએ હિંમત ભેગી કરીને પોતાની માતાને નરાધમ ઇમ્તિયાઝે ગુજારેલા જુલમની સમગ્ર આપવીતી કહી દીધી હતી.
આરોપી ૪ બાળકોનો પિતા, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો
સમગ્ર ઘટનાની જાણ થતાં જ પીડિતાના માતા-પિતા વટવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એ. વછેટાના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ૩૪ વર્ષીય આરોપી ઇમ્તિયાઝ શેખ પોતે પરણિત છે અને ૪ બાળકોનો પિતા છે, તેમજ તે મજૂરી કામ કરે છે. સગીરાના પરિવારની ફરિયાદના આધારે વટવા પોલીસે તાત્કાલિક એક્શન લઈ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નરાધમ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
