મુંબઈ: આદિત્ય ધરની સ્પાય ડ્રામા શ્રેણીનો બીજો ભાગ ‘ધુરંધર: ધ રિવન્જ’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યો છે. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે રિલીઝના માત્ર ચાર દિવસમાં જ ૭૬૧ કરોડ રૂપિયાનું જંગી કલેક્શન કરી લીધું છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ ૧૦૦૦ કરોડનો આંકડો વટાવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે પણ આ ફિલ્મને ‘ગ્રેટ ફિલ્મ’ ગણાવીને તેના વખાણ કર્યા છે.
‘ધુરંધર’ એડલ્ટ માટે, ‘ભૂત બંગલા’ પરિવાર માટે
તાજેતરમાં મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે, “મેં ‘ધુરંધર’ જોઈ છે અને તે એક શાનદાર ફિલ્મ છે, પરંતુ તે મુખ્યત્વે પુખ્ત વયના લોકો (Adults) માટે છે. જ્યારે મારી આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ બાળકો અને પરિવારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.” અક્ષયે સ્પષ્ટ કર્યું હતું કે બંને ફિલ્મો અલગ-અલગ શૈલીની છે અને બંનેનું પોતાનું મહત્વ છે.
ટ્રેન્ડ નહીં, વાર્તા છે સર્વોપરી
જ્યારે અક્ષયને પૂછવામાં આવ્યું કે હાલમાં એક્શન અને હિંસક ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે લાઇટ-હાર્ટેડ (હળવી) ફિલ્મ લાવવાનો નિર્ણય શું સમજી વિચારીને લેવાયો છે? તેના જવાબમાં અક્ષયે કહ્યું, “અમે ક્યારેય ટ્રેન્ડ જોઈને ફિલ્મ બનાવતા નથી. અમે માત્ર એ જોઈએ છીએ કે વાર્તા સારી છે કે નહીં. ‘ભૂત બંગલા’ બનાવતી વખતે પણ અમે વર્તમાન ટ્રેન્ડ વિશે વિચાર્યું નહોતું.”
પ્રિયદર્શન અને અક્ષયની જોડીનો પુનરાગમન
તમને જણાવી દઈએ કે, ‘ભૂત બંગલા’ એક હોરર-કોમેડી ફિલ્મ છે, જેનું નિર્દેશન દિગ્ગજ ડાયરેક્ટર પ્રિયદર્શન કરી રહ્યા છે. વર્ષો પછી આ જોડી ફરી એકવાર પડદા પર પરત ફરી રહી હોવાથી ફેન્સમાં ભારે ઉત્તેજના છે. આ ફિલ્મ ૧૦ એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને અક્ષય કુમારને આ ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે.
