અમદાવાદ: સંઘ પ્રદેશ દીવ-દમણ અને દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું અવસાન થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભાવનાબેન પટેલના નિધનના સમાચાર મળતા જ દેશભરના રાજકીય આગેવાનો, વહીવટી અધિકારીઓ અને શુભેચ્છકો દ્વારા સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ સંદેશાઓ મારફતે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર શ્રદ્ધાંજલિ પાઠવી
ભાવનાબેન પટેલના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (ટ્વિટર) પર દુઃખ વ્યક્ત કરતા એક લાગણીસભર પોસ્ટ શેર કરી છે. PM મોદીએ લખ્યું કે, “સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી અત્યંત દુઃખ થયું છે. વર્ષોથી આ પરિવાર સાથે મારો ખૂબ જ નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આ મુશ્કેલ અને દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.”

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ પૂનમબેન માડમે વ્યક્ત કરી સંવેદના
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દુઃખદ પ્રસંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના નિધનના સમાચારથી પીડા અનુભવું છું. પરિજન ગુમાવ્યાના દુઃખની આ વિકટ ક્ષણમાં પ્રફુલભાઈ અને શોકાતુર પરિવારજનોને દિલસોજી પાઠવું છું. ભગવાન સદગતના દિવ્ય આત્માને ચિર શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના સહ હાર્દિક શ્રદ્ધાંજલિ.”
બીજી તરફ, જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, “ભાવનાબેન પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. ભગવાન દ્વારકાધીશ સદગતના આત્માને પરમ શાંતિ અર્પે અને પરિવારને આ અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ.”
પાર્થિવ દેહને ચાર્ટર પ્લેન મારફતે અમદાવાદ લવાશે
મળતી વિગતો મુજબ, ભાવનાબેન પટેલનો પાર્થિવ દેહ આજે બપોરે અંદાજે અઢી (૨:૩૦) વાગ્યે ચાર્ટર વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવશે. અમદાવાદ લાવ્યા બાદ પરિવારજનો, નિકટના સ્નેહીઓ અને શુભેચ્છકો માટે તેમના અંતિમ દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી લોકો સદગતને શ્રદ્ધાસુમન અર્પણ કરી શકે.
પરિવાર શોકમગ્ન: કોણ છે પ્રફુલ પટેલ અને રાજકારણમાં તેમનો દબદબો?
ભાવનાબેન પટેલના અકાળ અવસાનથી સમગ્ર પટેલ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રફુલભાઈ પટેલ ભારતીય રાજનીતિ અને ખાસ કરીને પીએમ મોદી તેમજ અમિત શાહના પ્રશાસનમાં ખૂબ જ મજબૂત સ્થાન ધરાવે છે.
- ગૃહ રાજ્યમંત્રી તરીકેની સફર: વર્ષ ૨૦૧૦માં એન્કાઉન્ટર કેસના કારણે તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને ગુજરાતની બહાર રહેવાના (તડીપાર) આદેશ અપાયા હતા. તે સમયે મોદી સરકાર માટે મોટો રાજકીય પડકાર હતો.
- નરેન્દ્ર મોદીનો અતૂટ વિશ્વાસ: આ મુશ્કેલ સમયમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહના અનુગામી તરીકે પ્રફુલ પટેલ પર પસંદગી ઉતારી હતી અને ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન તેમને રાજ્યના ગૃહ કક્ષાના મંત્રી બનાવ્યા હતા.
- પ્રથમ ટર્મમાં જ મોટું પદ: પ્રફુલ પટેલની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હોવા છતાં તેમની વહીવટી કુશળતા જોઈને તેમને સીધા ગૃહ રાજ્ય મંત્રી જેવી મહત્વની જવાબદારી સોંપાઈ હતી.
- હાર છતાં કદ અકબંધ: ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ પરાજિત થયા હતા અને સક્રિય રાજકારણથી થોડા દૂર રહ્યા હતા, તેમ છતાં તેમની કામ કરવાની અનોખી પદ્ધતિથી પીએમ મોદી અને અમિત શાહ પ્રભાવિત હતા. જેના કારણે જ પાછળથી તેમને સંઘ પ્રદેશના પ્રશાસક (Administrator) જેવી મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.
