નર્મદા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે. જિલ્લાના ૧૧ ગામોના ૧૮ હજારથી વધુ નાગરિકોને જિલ્લા અને તાલુકા મથકો સાથે જોડવા માટે નર્મદા નદી પર બે નવા પૂલના નિર્માણ માટે કુલ ₹૩૦૨.૪૦ કરોડના કામોની વહીવટી મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી વર્ષોથી અવર-જવરની સમસ્યા વેઠતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
પૂલના નિર્માણ માટે ફાળવવામાં આવેલું બજેટ
સરકાર દ્વારા મંજૂર કરાયેલા બે મુખ્ય પૂલની વિગતો નીચે મુજબ છે:
- રેંગણ ઘાટથી રામપુરા ઘાટ: આ પૂલના નિર્માણ માટે ₹૧૨૩.૧૩ કરોડ ફાળવવામાં આવ્યા છે.
- શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટ: આ મહત્વકાંક્ષી પૂલ માટે ₹૧૭૯.૨૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ અને ખેડૂતોને મોટી રાહત
આ પૂલોના નિર્માણથી તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ઉત્તર અને દક્ષિણ વિસ્તારના ગામોમાં વસતા લોકોને પરિવહનની સુગમતા રહેશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન નર્મદા નદીમાં પાણીની આવક વધતા સંપર્કવિહોણા બની જતા ગામોને હવે બારેમાસ રસ્તાની સવલત મળશે. શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે પણ આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે.
ઉત્તરવાહિની પરિક્રમાવાસીઓ માટે ખુશખબર
નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી પ્રસિદ્ધ ઉત્તરવાહિની પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ બે નવા પૂલ તૈયાર થવાથી પરિક્રમાવાસીઓને ભવિષ્યમાં ૧૭ કિલોમીટરનો ફેરાવો ઘટશે. આનાથી માત્ર સમયની જ નહીં, પરંતુ વાહનચાલકોના ઈંધણની પણ મોટી બચત થશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આર્થિક અને સામાજિક વિકાસના નવા દ્વાર ખુલશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારોમાં પ્રવાસન વ્યવસ્થા પણ વધુ સુદ્રઢ બનશે.
