રાજકોટ/ગોંડલ: ગોંડલના ભગવતીપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીષા પટેલ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. જિગીષા પટેલ જ્યારે વોર્ડની સમસ્યાઓ અંગે સ્થાનિકોની રજૂઆત સાંભળવા ગયા હતા, ત્યારે તેમની કાર પર પથ્થરમારો કરી કાચ તોડવામાં આવ્યા હતા અને તેમને માથા તેમજ આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ ગુજરાતમાં AAP અને BJP ના નેતાઓ આમને-સામને આવી ગયા છે.
ચૈતર વસાવાના ગંભીર આક્ષેપો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ હુમલાને ભાજપના ૩૦ વર્ષના શાસનમાં વધેલા ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનું પરિણામ ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપના ઈશારે અસામાજિક તત્વો દ્વારા અમારા નેતાઓ પર હુમલા થઈ રહ્યા છે. પોલીસ આ મામલે ફરિયાદ નોંધવામાં આનાકાની કરી રહી છે. વિપક્ષના નેતાઓ પર ખોટા કેસો કરવામાં આવે છે જ્યારે સાચા ગુનેગારોને રક્ષણ અપાય છે.
ભાજપનો પલટવાર: સંજય કોરડિયાનો ખુલાસો
ચૈતર વસાવાના આક્ષેપો સામે જૂનાગઢના ભાજપ ધારાસભ્ય સંજય કોરડિયાએ વળતો પ્રહાર કરતા સ્પષ્ટતા કરી છે કે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે જિગીષાબેનને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે તેમને નિવેદન આપવા અને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું, પરંતુ તેમણે તે સમયે ફરિયાદ આપવાની ના પાડી હતી. જ્યારે ગોંડલ પોલીસ રાજકોટ પહોંચી, ત્યારે તબીબોએ જણાવ્યું હતું કે જિગીષાબેન અત્યારે સ્ટેટમેન્ટ આપી શકે તેવી સ્થિતિમાં નથી. સંજય કોરડિયાએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે જિગીષા પટેલ સ્વસ્થ થશે ત્યારે પોલીસ ચોક્કસપણે તેમની ફરિયાદ લેશે, આમાં રાજકીય રોટલા શેકવાની જરૂર નથી.
પોલીસ તપાસ ચાલુ
હાલમાં જિગીષા પટેલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ, AAP કાર્યકર્તાઓ દ્વારા આ હુમલાના વિરોધમાં દેખાવો કરવાની ચીમકી આપવામાં આવી છે. ગોંડલ પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે અને હુમલાખોરોની ઓળખ મેળવવા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.
