ગાંધીનગર: આજે 20મી માર્ચ એટલે કે ‘વિશ્વ ચકલી દિવસ’. વધતા જતા શહેરીકરણ અને આધુનિક લાઈફસ્ટાઈલ વચ્ચે આપણી આસપાસથી લુપ્ત થઈ રહેલી ચકલીઓને બચાવવા માટે ગાંધીનગરના ‘સ્પેરો મેન’ તરીકે જાણીતા સમીરભાઈ રામીએ એક અનોખી મિશાલ પેશ કરી છે. પર્યાવરણના જતન અને નાના પક્ષીઓના સંરક્ષણ માટે તેઓ વર્ષોથી સમર્પિત ભાવે કામ કરી રહ્યા છે.
‘હેપ્પી સ્પેરો વીક’ અને 12,000 ચકલી ઘરોનું લક્ષ્ય
વર્ષ 2016થી કાર્યરત ‘હેપ્પી ચકલી ઘર’ અભિયાન હેઠળ સમીરભાઈ અને તેમની ટીમ દ્વારા દર વર્ષે ચકલી ઘરોનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે ‘વિશ્વ ચકલી દિવસ’ના ઉપલક્ષમાં ‘હેપ્પી સ્પેરો વીક’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં 70 જેટલા ઉત્સાહી સ્વયંસેવકો જોડાયા છે, જેમના માધ્યમથી રાજ્યભરમાં 12,000થી વધુ ચકલી ઘરોનું વિતરણ કરવાનું ભગીરથ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયાસ
સમીરભાઈ માત્ર પક્ષીઘરોનું વિતરણ કરીને અટકતા નથી, પરંતુ તેઓ ભવિષ્યની પેઢી એટલે કે બાળકોને પણ પ્રકૃતિના સંરક્ષણ માટે તૈયાર કરી રહ્યા છે. તેઓ વિવિધ શાળાઓની મુલાકાત લઈને બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવે છે. ખાસ કરીને, વેસ્ટ (નકામી વસ્તુઓ) માંથી બેસ્ટ ચકલી ઘર કઈ રીતે બનાવી શકાય તેની વિશેષ તાલીમ પણ બાળકોને આપે છે, જેથી બાળકો પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલ બને.
પર્યાવરણીય સંતુલનમાં ચકલીનું મહત્વ
આજના દિવસે સમીરભાઈ રામી સંદેશ આપે છે કે ચકલી એ માત્ર એક પક્ષી નથી, પરંતુ આપણા નિવસનતંત્રની એક મહત્વની કડી છે. જીવાત નિયંત્રણ અને બીજના વિસ્તરણમાં તેની ભૂમિકા અહમ છે. ગાંધીનગરના આ ‘સ્પેરો મેન’ની પહેલ આજે વડોદરા અને સુરત જેવા શહેરો માટે પણ પ્રેરણારૂપ બની છે. જો દરેક નાગરિક પોતાના ઘરે એક નાનું પક્ષીઘર રાખે, તો આપણે આ લુપ્ત થતી પ્રજાતિને ચોક્કસપણે બચાવી શકીશું.
