નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આજે સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ અને સિંધી નૂતન વર્ષ ‘ચેટીચંડ’ પર્વની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર નડિયાદ શહેરમાં સિંધી સમાજ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.
જવાહરનગરથી નીકળી ભવ્ય શોભાયાત્રા
ચેટીચંડ નિમિત્તે નડિયાદ સિંધી સમાજ દ્વારા જવાહરનગર સ્થિત ભગવાન ઝૂલેલાલના મંદિરથી એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં શણગારેલી બગીઓ, સુમધુર સંગીત રેલાવતા બેન્ડવાજા અને ભગવાન ઝૂલેલાલની આકર્ષક પ્રતિમા સાથેના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં ઠેર-ઠેર ફૂલહાર અને પ્રસાદ વિતરણ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ
આ ધાર્મિક ઉત્સવમાં લોકપ્રતિનિધિઓ પણ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. શોભાયાત્રામાં રાજ્ય સરકારના મંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ તેમજ સિંધી સમાજના અગ્રણીઓ અજય ટહેલ્યાણી અને નંદુભાઈ દાસવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને ધારાસભ્યએ ભગવાન ઝૂલેલાલના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર નડિયાદ અને ગુજરાતની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

પરંપરાગત ડાન્સ અને ઉત્સાહ
શોભાયાત્રા દરમિયાન સિંધી સમાજના ભાઈ-બહેનો અને યુવાનો પરંપરાગત ડાન્સ (છેજ) કરતા અને ‘ઝૂલેલાલ બેડા પાર’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીને કારણે સમગ્ર નડિયાદ શહેર ‘ઝૂલેલાલમય’ બની ગયું હતું. આ પર્વ નિમિત્તે સિંધી સમાજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
