અમદાવાદ: ગુજરાતમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી ષડયંત્રોને નાબૂદ કરવા માટે કાર્યરત ગુજરાત એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ને એક મોટી સફળતા મળી છે. ગુજરાત ATS એ પાકિસ્તાન સ્થિત કુખ્યાત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા વધુ ૫ સક્રિય આતંકીઓની ધરપકડ કરી લીધી છે. અગાઉ આ જ કેસમાં ૮ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઘનિષ્ઠ પૂછપરછ અને તપાસ દરમિયાન વધુ પાંચ શકમંદોના નામ ખુલતા, એટીએસની ટીમોએ ત્વરિત ઓપરેશન હાથ ધરીને આ નવી ધરપકડ કરી છે.
સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી થઈ આતંકીઓની ધરપકડ
એટીએસના ડીઆઈજી (DIG) સુનિલ જોશીએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું કે, પકડાયેલા પાંચેય આરોપીઓની વિચારધારા અને કનેક્શન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. આ ઓપરેશન અંતર્ગત આરોપીઓને ઉત્તર ગુજરાતના સિદ્ધપુર અને વડગામ તેમજ મધ્ય ગુજરાતના ભરૂચથી દબોચી લેવામાં આવ્યા છે. આ કેસમાં અગાઉ અનેક શકમંદોની અટકાયત કરીને લાંબી પૂછપરછ અને નિવેદનો નોંધવામાં આવ્યા હતા, જે બાદ આ પાંચ કટ્ટરપંથીઓની સંડોવણીના મજબૂત પુરાવા મળ્યા હતા.
૩ વર્ષમાં ૮ જગ્યાએ બ્લાસ્ટનું પરીક્ષણ, પ્રો-જેહાદી લિટરેચર મળ્યું
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ પાંચેય આતંકીઓ અગાઉ ઝડપાયેલા ૮ આતંકીઓ સાથે મળીને છેલ્લા ૩ વર્ષથી સક્રિય હતા. આ સમયગાળા દરમિયાન તેઓએ ગુજરાતમાં અલગ-અલગ ૮ અવાવરુ અને નિર્જન જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું ટેસ્ટિંગ (પરીક્ષણ) પણ કર્યું હતું, જેથી સ્થાનિક લોકોને બોમ્બનો અવાજ ન સંભળાય.
પકડાયેલા આરોપીઓ અત્યંત જોખમી ‘પ્રો-જેહાદી’ માનસિકતા ધરાવે છે. આ આતંકીઓ મદ્રેસામાં આવતા અન્ય તાલીમાર્થી યુવકોને પણ જેહાદમાં જોડાવા માટે પ્રેરિત કરીને ‘દાવત’ આપતા હતા. આરોપીઓના મોબાઈલ ફોનમાંથી વાંધાજનક જેહાદી સાહિત્યની પીડીએફ (PDF) ફાઈલો મળી આવી છે. આ સિવાય, કેવા પ્રકારના બોમ્બ બનાવવા અને વિસ્ફોટકો કેવી રીતે તૈયાર કરવા તે અંગેનું ગંભીર ડિજિટલ સાહિત્ય પણ રિકવર કરાયું છે.
ઓનલાઈન મટીરીયલ મંગાવી બનાવતા હતા ગન પાઉડર અને IED
પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આતંકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલીગ્રામ અને ઈન્સ્ટાગ્રામ મારફતે પાકિસ્તાન બેઠેલા તેમના આકાઓ (હેન્ડલર) સાથે સતત સંપર્કમાં હતા. તેઓ જૈશના વડા મસૂદ અઝહરના પુસ્તકો ઓનલાઈન મંગાવી, તેની પ્રિન્ટ કઢાવીને એકબીજાને વહેંચતા અને અભ્યાસ કરતા હતા. તેઓ “અકેલા જેહાદ કૈસે કરે” જેવા ખતરનાક પુસ્તકો વાંચતા હતા.
બ્લાસ્ટ કરવા માટે આ આરોપીઓ પોતે જ ગન પાઉડર બનાવતા હતા, જેના માટે જરૂરી કેમિકલ મટીરીયલ જેમ કે પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર તેઓ ઓનલાઈન તેમજ સ્થાનિક બજારમાંથી ખરીદતા હતા. આતંકીઓએ બ્લાસ્ટ માટે ખાસ ટાઈમર ડિવાઈઝ પણ ખરીદી હતી.
ટાઈમ બોમ્બ બનાવવાનો થયો હતો નિષ્ફળ પ્રયાસ
તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા પાંચ આતંકીઓ પૈકીના બિલાલ શેરાએ અગાઉ પકડાયેલા મોહમ્મદ અમીન શેરાને એક પેન ડ્રાઈવ આપી હતી, જેમાં મસૂદ અઝહરના જેહાદી ભાષણો અને વિડીયો હતા. અન્ય એક આરોપી મહમદ અયુબ કડીવાલાની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ તમામ આરોપીઓ મસ્જિદોમાં ગુપ્ત રીતે ભેગા થઈને ‘દાવત’ કરતા અને ત્યાં જ IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) એસેમ્બલ કરીને બ્લાસ્ટ કરવાનું શીખ્યા હતા.
કેસના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી, જેની મદદથી આરોપી મહમદ અયુબ કડીવાલાએ ટાઈમ બોમ્બ (Time Bomb) બનાવવાનો પ્રત્યક્ષ પ્રયાસ પણ કર્યો હતો, જો કે તે આ એસેમ્બલીંગમાં નિષ્ફળ રહ્યો હતો. આ બાદ આરોપીઓએ આ વિસ્ફોટક સામગ્રી બિલાલ આબિદ શેખ નામના અન્ય શખ્સને છુપાવવા માટે પહોંચાડી દીધી હતી.
કોર્ટે ૮ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા
ધરપકડ કરાયેલા પાંચેય આતંકીઓને ઉત્તર ગુજરાતની કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ (આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસ્ટીક્યુટર) પી. આર. દંતાણીએ ધારદાર અને સચોટ દલીલો કરીને દેશની સુરક્ષા કાજે કુલ ૧૩ મહત્વના મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને આરોપીઓના મહત્તમ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને તમામ ૫ આતંકીઓના ૮ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે એટીએસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ આતંકી નેટવર્કના તાર અન્ય કયા સ્થાનિક લોકો સાથે જોડાયેલા છે અને તેમનો આગામી મોટો ટાર્ગેટ (લક્ષ્ય) શું હતો.

ઝડપાયેલા આતંકીઓની વિગત (Profiles of Arrested Terrorists):
૧. બિલાલ આબીદભાઈ શેરા (ઉંમર: ૨૧ વર્ષ)
૨. મહમદ ઐયુબ કડીવાલ (ઉંમર: ૨૨ વર્ષ)
૩. મોહમ્મદ ઐયુબ સુણસરા (ઉંમર: ૨૦ વર્ષ)
૪. શફિઅ રઇસ મુખી (ઉંમર: ૨૧ વર્ષ)
૫. મોહમ્મદ હસન કરડીયા (ઉંમર: ૨૦ વર્ષ)
