ગાંધીનગર: હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની કડક આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ સરકારી વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રોને હાઈએલર્ટ પર રહેવા અને કોઈપણ કટોકટીજનક પરિસ્થિતિ માટે સંપૂર્ણ સજ્જ રહેવા માટે આદેશો આપ્યા છે.
મોસમી વરસાદ અને શક્ય પૂરની સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વોચ ગ્રુપ’ (Weather Watch Group) ની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
૩૧ જુલાઈએ અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, આ વિસ્તારોમાં ખતરો
હવામાન વિભાગની આગાહી મુજબ ૩૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ રાજ્યના અનેક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે:
- રેડ એલર્ટ (૩૧ જુલાઈ): અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું છે.
- ઓરેન્જ એલર્ટ (૩૧ જુલાઈ): સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે.
- ૨૯ અને ૩૦ જુલાઈની સ્થિતિ: પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
- ૧ ઓગસ્ટની આગાહી: ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
કાચા મકાનો, હોર્ડિંગ્સ અને જર્જરિત સ્ટ્રક્ચર્સ અંગે કડક સૂચનાઓ
બેઠક દરમિયાન રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો, માનવબળ અને સાધનોની સમીક્ષા કરી હતી. તેમણે માર્ગ અને મકાન વિભાગ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનોને કડક સૂચના આપી હતી કે ભારે પવન અને વરસાદથી થતા નુકસાનને અટકાવવા ભયજનક હોર્ડિંગ્સ, બેનર્સ અને જર્જરિત ઇમારતોને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવે. આ ઉપરાંત સ્લમ વિસ્તારો અને કાચા મકાનોમાં રહેતા નાગરિકો સુધી વરસાદ અને વાવાઝોડાની ચેતવણીઓ સમયસર પહોંચાડવા પર ભાર મુકાયો હતો.
ધોળકામાં ૨ કલાકમાં ૨૦ ઇંચ વરસાદ જેવી અનિશ્ચિતતા: રાહત કમિશનર
રાહત કમિશનરે નોંધ્યું હતું કે ચાલુ ચોમાસામાં ગુજરાતમાં અત્યંત વિષમ વરસાદી પેટર્ન જોવા મળી રહી છે. એક તરફ દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં સરખામણીએ ઓછો વરસાદ થયો છે, તો બીજી તરફ વલસાડ અને નવસારીમાં મોસમનો ૧૦૦ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમણે તાજેતરમાં ધોળકામાં માત્ર ૨ કલાકમાં ૨૦ ઇંચ જેટલા ખાબકેલા અણધાર્યા વરસાદનો ઉલ્લેખ કરીને તમામ કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને કોઈપણ અણધારી આપત્તિ માટે તૈયાર રહેવા સૂચના આપી હતી.
૫૩,૬૦૦ થી વધુનું સ્થળાંતર અને ૯,૬૦૦ થી વધુનું સફળ રેસ્ક્યૂ
રાહત કમિશનરે NDRF, SDRF, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય સેનાના સંકલિત પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે સમયસરની કામગીરીથી હજારો જીવ બચાવી શકાયા છે. દક્ષિણ ગુજરાતમાં પૂરના પાણી ઘૂસે તે પહેલાં ૫૩,૬૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા હતા, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા ૯,૬૦૦ થી વધુ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં નેવી, હેલ્થ, ફોરેસ્ટ, કૃષિ, મહેસૂલ અને અન્ય સંબંધી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
