નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પીજ રોડ સ્થિત સત્સંગ હોલમાં માનસ ચેરિટેબલ ટ્રસ્ટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે 9:00 કલાકે સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં કરમસદ સંતરામ મંદિરથી મોરારીદાસ મહારાજ, વડતાલ મંદિરથી ત્યાગ સ્વામી, માઈ મંદિરથી બંટીભાઈ અને બ્રહ્માકુમારીઝથી સ્મિતા દીદીએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા.
22 ભજન મંડળો વચ્ચે ખરાખરીનો જંગ
માનસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં નડિયાદ અને આસપાસના કુલ 22 ભજન મંડળોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે વિભાબેન પટેલ, ચેતનાબેન પટેલ, ભૂમિબેન પટેલ અને તૃપ્તિબેન સુથારે સેવા આપી હતી. સ્પર્ધાના પરિણામો નીચે મુજબ રહ્યા હતા:
- પ્રથમ ઇનામ: હરિઓમ ભજન મંડળ
- દ્વિતીય ઇનામ: કંસારા મહિલા ભજન મંડળ
- તૃતીય ઇનામ: જય મહારાજ ભજન મંડળ
- ચોથું ઇનામ: અંબા બહુચર મંડળ
- પાંચમું ઇનામ: શક્તિ ભજન મંડળ
મહિલા સુરક્ષા અને સનાતન ધર્મનો સંદેશ
કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડે દરેક સોસાયટીમાં દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા આહવાન કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા સંગઠનના અધ્યક્ષ ડો. મુક્તાબેન વકાણીએ બહેનો-દીકરીઓને સેલ્ફ ડિફેન્સ (આત્મ સુરક્ષા) વિશે માર્ગદર્શન આપ્યું હતું. ભૂતનાથ મંદિરથી પધારેલા કાર્તિક બાબાએ સનાતન ધર્મના મૂલ્યો વિશે પ્રવચન આપ્યું હતું.

અયોધ્યામાં રોકાણની અનોખી ભેટ
માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદારતા દાખવતા ભાગ લેનાર તમામ 22 મંડળોને ‘ભજન કીટ’ (ઢોલક, કરતાલ, ખંજરી અને ઘુઘરા) ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રમુખ અશોકભાઈએ જાહેરાત કરી હતી કે, વર્ષ 2027માં અયોધ્યા ખાતે નિર્માણ પામનાર ‘માનસ ભવન’માં તમામ ભજન મંડળની બહેનોને બે રાત્રિ અને ત્રણ દિવસ માટે વિનામૂલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટના ખજાનચી સ્વાતિબેન પંચાલ, ટ્રસ્ટીઓ અનિરુદ્ધભાઈ, વિવેકભાઈ તેમજ કાર્યકર્તાઓ સચિનભાઈ, મિતેશભાઈ, વિરલ રાઠોડ અને હિરેન પટેલ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
