નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે રાજ્યસભામાં દેશના આશરે 125 કરોડ મોબાઈલ યુઝર્સમાંથી 90% હિસ્સો ધરાવતા પ્રીપેડ ગ્રાહકોની પીડાને વાચા આપી છે. તેમણે ટેલિકોમ ઓપરેટરો દ્વારા લેવામાં આવતા રિચાર્જ પ્લાન્સ અને સેવાઓ બંધ કરવાના નિયમો સામે સવાલો ઉઠાવી સરકાર પાસે મહત્વની માંગણીઓ કરી છે.
ઈનકમિંગ કોલ્સ અને OTP ને લઈને ચિંતા
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, “જો કોઈનું રિચાર્જ પૂરું થઈ જાય તો આઉટગોઈંગ કોલ્સ બંધ થાય તે સમજાય છે, પરંતુ ઈનકમિંગ કોલ્સ અને SMS કેમ બંધ કરી દેવામાં આવે છે?” ઈનકમિંગ બંધ થવાથી બેંકના OTP અને મહત્વના સરકારી સંદેશાઓ અટકી જાય છે, જે કટોકટીના સમયે ગ્રાહકને દુનિયાથી અલગ કરી દે છે. તેમણે માંગ કરી છે કે છેલ્લું રિચાર્જ પૂરું થયા પછી પણ ઓછામાં ઓછા એક વર્ષ સુધી ઈનકમિંગ કોલ્સ અને SMS ચાલુ રહેવા જોઈએ. મોબાઈલ નંબરને છેલ્લા રિચાર્જ બાદ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ડીએક્ટિવેટ ન કરવો જોઈએ.
28 દિવસના ‘મહિના’નું ગણિત અને છેતરપિંડી
સાંસદે ટેલિકોમ કંપનીઓના 28 દિવસના ‘મહિના’ વાળા પ્લાન પર આકરા પ્રહાર કર્યા હતા:
13મું રિચાર્જ: 28 દિવસના સાયકલને કારણે ગ્રાહકોએ વર્ષમાં 12 નહીં પણ 13 વખત રિચાર્જ કરવું પડે છે (28 દિવસ × 13 રિચાર્જ = 364 દિવસ).
કેલેન્ડર મંથ: જો કોઈ પ્લાનને ‘માસિક’ કહેવામાં આવે, તો તે કેલેન્ડર મુજબ 30 કે 31 દિવસનો જ હોવો જોઈએ.
પારદર્શિતા: ઓપરેટરોએ 28 દિવસના પ્લાન અને સાચા કેલેન્ડર મહિનાના પ્લાન વચ્ચેનો વાર્ષિક ખર્ચ સ્પષ્ટપણે દર્શાવવો જોઈએ જેથી ગ્રાહકો જાણી શકે કે તેઓ વધારાના કેટલા પૈસા ચૂકવી રહ્યા છે.
‘ઈનકમિંગ ઓન્લી’ પ્લાનની માંગ
રાઘવ ચઢ્ઢાએ સૂચન આપ્યું કે ટેલિકોમ કંપનીઓએ ઓછી કિંમતનો “ઈનકમિંગ ઓન્લી” પ્લાન રજૂ કરવો જોઈએ. આ એવા યુઝર્સ માટે આશીર્વાદરૂપ બનશે જેમને માત્ર પોતાનો નંબર એક્ટિવ રાખવો છે અને માત્ર OTP કે જરૂરી કોલ્સ મેળવવા છે. તેમણે અંતમાં ઉમેર્યું કે મોબાઈલ ફોન આજે લક્ઝરી નથી પણ એક ‘લાઈફલાઈન’ છે અને ગ્રાહકો પારદર્શિતાના હકદાર છે.
