રાજકોટ: નવરાત્રીના પાવન અવસરે ગુજરાતમાં જ્યાં આધુનિક ગરબાની ધૂમ છે, ત્યાં રાજકોટના ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ ખાતે શૌર્ય અને શક્તિની પ્રાચીન પરંપરાને જીવંત રાખતો તલવાર રાસ યોજાયો હતો. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રજૂ કરાયેલો આ રાસ, મા જગદંબાની પૂજાની સાથે વીરતા અને સંસ્કૃતિને જાળવવાનો એક અનોખો પ્રયાસ બની રહ્યો છે.
જ્યારે આજની યુવા પેઢી ડીજે અને આધુનિક મ્યુઝિક સિસ્ટમ સાથેના ગરબા તરફ વળી રહી છે, ત્યારે રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદમ્બરી દેવીના માર્ગદર્શન હેઠળ તેમની સંસ્થા ‘ભગિની સેવા ફાઉન્ડેશન’ દ્વારા આ પરંપરાગત તલવાર રાસનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષત્રિય બહેનોમાં શૌર્યકલાના ગુણોને પ્રોત્સાહિત કરવાનો અને સાંસ્કૃતિક વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવાનો છે.
તલવાર રાસને પ્રસ્તુત કરવા માટે ક્ષત્રિય યુવતીઓ અને બહેનો લગભગ દોઢથી બે મહિના સુધી સખત તાલીમ લે છે. આ પ્રદર્શનમાં યુવતીઓ ધારદાર તલવારો હાથમાં લઈને અદ્ભુત કૌશલ્ય અને ગતિ સાથે રાસ રમે છે. આ રજૂઆત પૂરી કાળજી અને સુરક્ષા સાથે કરવામાં આવે છે, જેથી તે માત્ર એક નૃત્ય નહીં પરંતુ શૌર્યકલાનો જીવંત વારસો બની રહે.
મહારાણી કાદમ્બરી દેવીએ જણાવ્યું કે, નવરાત્રી એ શક્તિની આરાધનાનું પર્વ છે અને આ તલવાર રાસ દ્વારા તેઓ મા જગદંબાની પૂજાની સાથે ક્ષત્રિય વીરતાની પરંપરાને જીવંત રાખે છે. આ રાસ જોનાર માઈભક્તોમાં પણ શક્તિ, ગૌરવ અને વીરતાની ભાવના જાગે છે. રાજકોટના આ શાહી આયોજને સાબિત કર્યું છે કે આધુનિક યુગમાં પણ પરંપરા અને સંસ્કૃતિને સાચવવાનો પ્રયાસ કેટલો સુંદર અને પ્રેરણાદાયક હોઈ શકે છે.
