વડોદરા: વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ ભાજપ નેતા અને સતત ૮ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો ઐતિહાસિક રેકોર્ડ ધરાવતા યોગેશ પટેલનું મંગળવારે ૮૩ વર્ષની વયે લાંબી હૃદયની બીમારી બાદ દુઃખદ નિધન થયું છે. હૃદયની તકલીફના કારણે બે દિવસ પૂર્વે જ તેમને […]
Share This Article:
વડોદરા: વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ ભાજપ નેતા અને સતત ૮ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો ઐતિહાસિક રેકોર્ડ ધરાવતા યોગેશ પટેલનું મંગળવારે ૮૩ વર્ષની વયે લાંબી હૃદયની બીમારી બાદ દુઃખદ નિધન થયું છે. હૃદયની તકલીફના કારણે બે દિવસ પૂર્વે જ તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે. વડોદરાની જનતામાં “યોગેશ કાકા” તરીકે ભારે આદર અને લોકપ્રિયતા ધરાવતા આ વરિષ્ઠ નેતાના અવસાનથી સમગ્ર વડોદરા અને ભાજપ પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
માંજલપુર બેઠક ખાલી પડી: સતત ૮ ચૂંટણી જીતવાનો અજોડ રેકોર્ડ
યોગેશ કાકાના અવસાનની સાથે જ વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક હવે ખાલી પડી છે, જેના કારણે ગુજરાત વિધાનસભામાં વધુ એક સ્થાન ખાલી થયું છે. અગાઉ ઉમરેઠ બેઠકના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ પણ આ જ પ્રકારે બેઠક ખાલી પડી હતી, જેમાં પાછળથી પેટાચૂંટણી યોજાઈ હતી. યોગેશ કાકા ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત અને લાંબો સમય સેવા આપનારા ધારાસભ્યોમાંના એક હતા. તેમણે સતત આઠ વિધાનસભા ચૂંટણીઓ જીતવાનો દુર્લભ રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે પોતાની રાજકીય સફરની મજબૂત શરૂઆત રાવપુરા મતવિસ્તારમાંથી કરી હતી અને ત્યારબાદ સીમાંકન (Delimitation) પછી તેઓ માંજલપુર બેઠક પરથી સતત વિજયી બનતા રહ્યા હતા. છેલ્લે વર્ષ ૨૦૨૨ ની ચૂંટણીમાં તેઓ ૮મી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
વિજય રૂપાણી સરકારમાં મંત્રી તરીકે સેવા અને પ્રજાના પ્રશ્નો માટે લડાયક મિજાજ
પોતાની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન યોગેશ કાકાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી તરીકે પણ પ્રશંસનીય સેવાઓ આપી હતી. વડોદરા અને મધ્ય ગુજરાતના વિકાસ કાર્યોને વેગ આપવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી હતી. પાયાના સ્તરે લોકો સાથે સીધો સંવાદ રાખવા માટે જાણીતા યોગેશ પટેલ પ્રજાના પ્રશ્નો માટે હંમેશા લડાયક મૂડમાં રહેતા હતા. રસ્તા, પાણી પુરવઠો અને ડ્રેનેજ જેવા સ્થાનિક નાગરિક પ્રશ્નો ઉકેલવા માટે તેઓ પોતાની જ સરકાર સામે જાહેરમાં અવાજ ઉઠાવતા કે રજૂઆતો કરતા અચકાતા નહોતા. તેમની આ જ પ્રોએક્ટિવ શૈલીના કારણે તમામ પક્ષના રાજકીય નેતાઓમાં તેઓ ભારે આદર પામ્યા હતા.
રાજકારણની સાથે વડોદરાના સાંસ્કૃતિક ઉત્સવોના પ્રણેતા
યોગેશ કાકા માત્ર રાજકારણ પૂરતા મર્યાદિત નહોતા, પરંતુ વડોદરાના સાંસ્કૃતિક અને સામાજિક જીવનમાં પણ તેમનું પ્રદાન અજોડ હતું. વડોદરાના પ્રખ્યાત નવરાત્રી મહોત્સવ અને ગણેશોત્સવ જેવા મોટા તહેવારોના આયોજનમાં તેઓ હંમેશા મોખરે રહેતા હતા. ખાસ કરીને વડોદરાની ઓળખ સમાન પરંપરાગત “શિવજી કી સવારી” સરઘસને લોકપ્રિય અને ભવ્ય બનાવવામાં યોગેશ કાકાનો સિંહફાળો રહ્યો હતો. ત્રણ દાયકાથી વધુ સમય સુધી વડોદરાના જનમાનસ પર રાજ કરનાર આ લોકનેતાની વિદાય સાથે જ જાણે વડોદરાના રાજકારણના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે.
રાજકીય નેતાઓએ પાઠવેલી હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: “માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ.”
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી: “વડોદરા શહેરના લોકપ્રિય જનપ્રતિનિધિ, ભાજપના વરિષ્ઠ નેતા તથા માંજલપુરના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. પરમાત્મા તેમના દિવ્ય આત્માને ચિરશાંતિ અર્પે તથા શોકગ્રસ્ત પરિવારજનો અને શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ…”
વડોદરા સાંસદ હેમાંગ જોશી: “વડોદરાના વિકાસની યાત્રામાં જેમણે પોતાના જીવનનો અમૂલ્ય સમય સમર્પિત કર્યો, એવા ભાજપના વરિષ્ઠ નેતા તથા માંજલપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ અને વ્યથિત કરનારા છે. જાહેર જીવનમાં તેમની સરળતા, સૌજન્ય અને કાર્યપ્રતિની નિષ્ઠાએ તેમને લોકોના હૃદયમાં વિશિષ્ટ સ્થાન અપાવ્યું હતું.”
ધારાસભ્ય મનીષાબેન વકીલ: “જાહેર જીવનમાં આગવી છાપ ઊભી કરનાર, ભાજપના વરિષ્ઠ નેતા તથા માંજલપુરના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે દાયકાઓ સુધી જનસેવા, વિકાસ અને લોકકલ્યાણના કાર્યો દ્વારા વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.”