નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ સંઘર્ષને પગલે ભારત સરકાર સતત નજર રાખી રહી છે. આજે 9 માર્ચ 2026ના રોજ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રાજ્યસભામાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સંઘર્ષ 28 ફેબ્રુઆરીથી વધુ ગંભીર બન્યો છે. ભારતે શરૂઆતથી જ તમામ પક્ષોને હિંસા છોડી સંયમ રાખવા અને રાજદ્વારી વાટાઘાટો (Diplomacy) દ્વારા ઉકેલ લાવવા અપીલ કરી છે.
ઓપરેશન રેસ્ક્યુ: 67,000 ભારતીયો પરત ફર્યા
વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ખાડી દેશોમાં વસતા લગભગ 1 કરોડ અને ઈરાનમાં રહેતા હજારો ભારતીયોની સુરક્ષા સરકાર માટે ચિંતાનો વિષય છે. એર ઈન્ડિયા અને અન્ય ભારતીય કેરિયર્સ દ્વારા સતત ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસમાં જ દરરોજ સરેરાશ 50 જેટલી ફ્લાઈટ્સ ભારત આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 67,000 ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ લાવવામાં આવ્યા છે. દુબઈ, દોહા અને અબુ ધાબીમાં ફસાયેલા ભારતીયોને ઓમન અને સાઉદી અરેબિયા જેવા દેશોના રસ્તે સલામત બહાર કાઢવામાં આવ્યા છે.
વેપાર અને ઊર્જા સુરક્ષા પર ખતરો
વિદેશ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી કે આ પ્રદેશ સાથે ભારતનો વાર્ષિક 200 અબજ ડોલરનો વેપાર છે. સપ્લાય ચેઈનમાં અવરોધ આવવાથી અર્થતંત્ર પર અસર પડી શકે છે. ઉપરાંત, ભારતની ઊર્જા સુરક્ષા (તેલ અને ગેસ) માટે આ વિસ્તાર અત્યંત મહત્વનો છે. મરચન્ટ શિપ પર થયેલા હુમલામાં બે ભારતીય નાવિકોના મોત થયા છે, જે બાબતે સરકારે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પીએમ મોદીનું ગ્લોબલ નેતૃત્વ
તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકટની શરૂઆતથી જ ઈઝરાયેલ, યુએઈ, કતાર, સાઉદી અરેબિયા અને કુવૈત સહિતના દેશોના વડાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. તમામ દેશોએ ભારતીય સમુદાયની સુરક્ષાની ખાતરી આપી છે. વિદેશ મંત્રીએ પોતે ઈરાનના વિદેશ મંત્રી આરાગચી સાથે વાત કરી છે. ભારતે માનવતાવાદી અભિગમ અપનાવીને ઈરાનના જહાજ ‘IRIS LAVAN’ ને કોચી બંદર પર ડોક કરવાની મંજૂરી પણ આપી છે.
