સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના પ્રથમ દિવસે ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં આયોજિત ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ઝગમગતી રોશનીથી ન્હાઈ ઉઠેલા સોમનાથ મંદિરના પટાંગણમાં દિવ્ય વાતાવરણ સર્જાયું હતું.
નામી કલાકારોએ રેલાવી સૂરની સરવાણી
આ સાંસ્કૃતિક સંધ્યામાં ગુજરાતના લોકપ્રિય કલાકારોએ શ્રોતાઓને શિવભક્તિના રંગે રંગ્યા હતા. કિર્તીદાન ગઢવી અને ઉમેશ બારોટે “નગર મેં જોગી આયા…” અને “અગડ બમ, અગડ બમ…” જેવા લોકપ્રિય ભજનો દ્વારા સનાતન ધર્મ અને સંસ્કૃતિનો મહિમા ગાયો હતો. જીગરદાન ગઢવીએ પોતાની આગવી શૈલીમાં સોમનાથ મહાદેવની આરાધના કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. લોક સાહિત્યકાર સાંઈરામ દવેએ પોતાની આગવી શૈલીમાં સોમનાથ મંદિરનો ઈતિહાસ, વિદેશી આક્રમણો સામે યોદ્ધાઓનું બલિદાન અને સોમનાથની અસ્મિતા વિશે મનનીય પ્રસ્તુતિ કરી હતી.
ભક્તિ, શક્તિ અને સંગીતનો ત્રિવેણી સંગમ
કાર્યક્રમ દરમિયાન શિવ ભક્તિના ગીતોની સાથે ગરબાની પણ જમાવટ જોવા મળી હતી. કર્ણપ્રિય સંગીત, દિવ્ય રોશની અને દરિયાકિનારે બિરાજમાન અલૌકિક સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનથી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા. પ્રેક્ષકોએ પણ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોના સૂરમાં સૂર પુરાવી આત્મીયતા પ્રગટ કરી હતી.
મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
આ પાવન અવસરે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ સાંસદ મોહન કુંડારીયા તેમજ સચિવઓ આલોક પાંડે, ટી. નાગરાજન, દિલીપ રાણા અને ગીર સોમનાથ કલેક્ટર એન.વી. ઉપાધ્યાય સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
