નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં પક્ષના બે દિગ્ગજ નેતાઓ – ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ – જાહેરમાં આમને-સામને આવી ગયા છે. આ વિખવાદમાં ડૉ. દર્શનાબેન દેશમુખે મનસુખ વસાવાના આક્ષેપો સામે આક્રમક વલણ અપનાવ્યું છે.
સમગ્ર વિવાદની શરૂઆત ૭ ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે સાંસદ મનસુખ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં તેમણે એક નનામા પત્રનો હવાલો આપીને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.
ડૉ. દર્શનાબેનનો વળતો જવાબ: મનસુખભાઈના ચૈતર વસાવા સાથે ઘરના સંબંધો
મનસુખ વસાવાના આક્ષેપોના જવાબમાં ડૉ. દર્શનાબેન દેશમુખે પોતાનું મૌન તોડ્યું હતું અને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મનસુખ વસાવાના એ આક્ષેપોને રદિયો આપ્યો હતો કે તેમની અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે. ડૉ. દર્શનાબેન દેશમુખે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, “મનસુખ વસાવાના તો ચૈતર વસાવા સાથે ઘરના સબંધ છે.”
ધારાસભ્યએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારથી જ મનસુખ વસાવા તેમના પર આક્ષેપો કરતા આવ્યા છે અને તેઓ તેમના વિશે હંમેશા બેફામ વાણી વિલાસ કરતા આવ્યા છે. તેમણે સિનિયર સાંસદ તરીકે મનસુખ વસાવાને આવા વાણી વિલાસ ન કરવા સૂચવ્યું હતું, કારણ કે તે પોતે પણ ભાજપની જ દીકરી છે.
માનહાનીનો દાવો અને ધરણાં રદ
ડૉ. દર્શનાબેન દેશમુખે મનસુખ વસાવાને સીધી ચીમકી આપતા જણાવ્યું હતું કે, “જો મનસુખ ભાઈ મારી સામેનો ભ્રષ્ટાચારનો આક્ષેપ સાબિત કરે નહિ તો હું એમની સામે માનહાનીનો દાવો કરીશ.” તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટમાં જવાનું હશે તો તે મનસુખ વસાવા સામે કોર્ટમાં પણ જશે.
આ અગાઉ, ડૉ. દર્શનાબેન દેશમુખ મનસુખ વસાવાની સામે ધરણા પર બેસવાના હતા, પરંતુ પ્રદેશમાંથી સૂચના મળતા આ ધરણાં રદ કર્યા હતા. આ ઘટના દર્શાવે છે કે આ આંતરિક સંઘર્ષની અસર પ્રદેશ સ્તર સુધી પહોંચી છે.
ડૉ. દર્શનાબેન દેશમુખે આખરે જણાવ્યું હતું કે, જો મનસુખ વસાવાને તેમના માટે કોઈ પ્રશ્ન હોય તો તેમણે યોગ્ય ફોરમમાં વાત કરવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે, “હવે જો કાયમ મનસુખ વસાવા કંઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે.”
