એકતા નગર: ગુજરાતની જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઈફ લાઈન સમાન નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ ફરી એકવાર તેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફૂટ) પર પહોંચીને છલકાયો છે. જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતા નગર ખાતે પહોંચીને લોકમાતા નર્મદાના પાવન જળનું પૂજન અને વધામણાં કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૭માં ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ ડેમ છઠ્ઠી વખત (વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫) તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. ડેમની પૂર્ણ જળ સંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મિલિયન ઘન મીટર છે. મુખ્યમંત્રીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જળ પૂજન કરીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પૂરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયને વંદન કર્યા હતા.
ઊર્જા ઉત્પાદન અને જળ વિતરણમાં સિદ્ધિ:
નર્મદા યોજનાએ વીજ ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ ચોમાસાના સમયગાળા દરમિયાન રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસમાં કુલ ૩૦૨ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. અત્યાર સુધીમાં કુલ ૬,૮૧૦ કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.
સરદાર સરોવર ડેમમાંથી ચાલુ વર્ષે સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. સુજલામ સુફલામ યોજનામાં ૮૭૭ તળાવો ભરવામાં આવ્યા છે, જ્યારે સૌની યોજનામાં ૩૬ તળાવો, ૩૨૫ ચેકડેમ અને ૩૧ ડેમ ભરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, આ વર્ષે ૧૦ જેટલી નદીઓને નર્મદાનું પાણી વહેવડાવીને જીવંત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓનું નિરીક્ષણ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પવિત્ર અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા લોકો સાથે સહજ ભાવે વાર્તાલાપ પણ કર્યો હતો. વધુમાં, તેમણે સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીના વિશેષ અવસર પર ૩૧મી ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને એકતા પરેડના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને આયોજનની વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
