ચેન્નાઈ: દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર વિજય થલાપતિએ પોતાના કરોડો ચાહકોને ભાવુક કરી દે તેવા સમાચાર આપ્યા છે. વિજયે સત્તાવાર રીતે અભિનય કરિયરમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. મલેશિયામાં પોતાની આગામી અને અંતિમ ફિલ્મ ‘જન નાયકન’ (Jana Nayagan) ની ઓડિયો લોન્ચ ઈવેન્ટ દરમિયાન વિજય ખૂબ જ ભાવુક દેખાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “૩૩ વર્ષ સુધી લોકો મારા માટે થિયેટરોમાં ઉભા રહ્યા છે, હવે સમય આવી ગયો છે કે હું લોકો માટે ઉભો રહું”.
‘મારી અંતિમ ફિલ્મ દર્દનાક છે’ – વિજય
પોતાની કારકિર્દીની છેલ્લી ફિલ્મ વિશે વાત કરતા વિજયે સ્વીકાર્યું હતું કે આ વિદાય ખૂબ જ પીડાદાયક છે. તેમણે ચાહકોનો આભાર માનતા કહ્યું કે, “મેં એક નાનકડું રેતીનું ઘર બનાવવાની આશા સાથે અભિનય શરૂ કર્યો હતો, પરંતુ લોકોએ મને પ્રેમનો મોટો મહેલ આપ્યો છે”. ‘જન નાયકન’ ફિલ્મ આગામી ૯ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે તેમના કરિયરની યાદગાર પૂર્ણાહુતિ માનવામાં આવે છે.
અભિનય બાદ હવે લક્ષ્ય: તમિલનાડુ વિધાનસભા ૨૦૨૬
ફિલ્મી દુનિયાને હંમેશા માટે અલવિદા કહેવા પાછળનું મુખ્ય કારણ વિજયની રાજકીય મહત્વકાંક્ષાઓ છે. તેમણે ગયા વર્ષે પોતાની રાજકીય પાર્ટી ‘તમિલગા વેટ્ટી કઝગમ’ (TVK) ની સ્થાપના કરી હતી. હવે તેઓ પોતાનો સંપૂર્ણ સમય અને ધ્યાન તમિલનાડુની આગામી વિધાનસભા ચૂંટણીઓ પર કેન્દ્રિત કરવા માંગે છે.
રાજકારણમાં પ્રવેશ અંગે તેમણે ઉમેર્યું કે શરૂઆતમાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ચાહકોના અતૂટ વિશ્વાસને કારણે તેઓ આજે સેવાની આ નવી રાહ પર આગળ વધવા માટે સક્ષમ બન્યા છે. સિનેમા જગતના વિવેચકો અને ચાહકો વિજયની આ નિવૃત્તિને ‘એક યુગનો અંત’ ગણાવી રહ્યા છે.
