કરમસદ: આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલી વિશ્વવિખ્યાત શ્રી કૃષ્ણ હોસ્પિટલે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. યુગાન્ડાની એક ૨૮ વર્ષીય મહિલા, જે લાંબા સમયથી માસિક સ્ત્રાવ દરમિયાન અતિશય રક્તસ્ત્રાવ અને પેટના નીચેના ભાગમાં અસહ્ય દુખાવાથી પીડાતી હતી, તેની અહીં સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. આ કેસ ઈમર્જન્સી ગાયનેક સારવારના મહત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
શા માટે દર્દીએ પસંદ કરી શ્રી કૃષ્ણ હોસ્પિટલ?
મહિલા દર્દીની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેને દુખાવા માટે દરરોજ ઇન્જેક્શન લેવા પડતા હતા. યુગાન્ડામાં આધુનિક આરોગ્ય સુવિધાઓ અને નિષ્ણાતોના અભાવે તેની સારવાર શક્ય નહોતી. તેના એક મિત્ર, જેમણે અગાઉ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લીધી હતી, તેમના સૂચનથી આ મહિલા ખાસ સારવાર માટે ભારત આવી હતી.
આધુનિક લેપ્રોસ્કોપિક સર્જરીથી ઝડપી રિકવરી
સિનિયર સ્ત્રી રોગ નિષ્ણાત ડો. નીતિન રાયઠઠ્ઠાએ દર્દીની તપાસ કરી ‘મિનિમલ ઈન્વેસિવ’ એટલે કે લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. આ પદ્ધતિથી રક્તસ્ત્રાવ ઓછો થયો અને દર્દીને વધુ ટાંકા આવ્યા વગર ઝડપી રિકવરી મળી. હોસ્પિટલની એનેસ્થેશિયા ટીમ અને નર્સિંગ સ્ટાફે દર્દીની રિકવરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જટિલ સર્જરીના બીજા જ દિવસે મહિલા દર્દી ચાલતા થઈ ગયા હતા.
મેડિકલ ટુરિઝમમાં વધતું પ્રભુત્વ
ડો. રાયઠઠ્ઠાએ જણાવ્યું કે, “ગાયનેકોલોજીકલ ડિસઓર્ડરમાં તાત્કાલિક મેડિકલ સહાય અનિવાર્ય હોય છે. વિકસિત દેશોના અભાવે આંતરરાષ્ટ્રીય દર્દીઓ હવે ગુજરાતની હોસ્પિટલો પર વિશ્વાસ મૂકી રહ્યા છે.” શ્રી કૃષ્ણ હોસ્પિટલના પ્રિવિલેજ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય દર્દીઓને વ્યક્તિગત સંભાળ અને ભાષાકીય કે વહીવટી સપોર્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
દર્દીની પ્રતિક્રિયા
સારવાર બાદ હર્ષની લાગણી વ્યક્ત કરતા યુગાન્ડાની મહિલાએ જણાવ્યું હતું કે, “અહીંના ડોક્ટરોની કુશળતા અને નર્સિંગ સ્ટાફનું માનવતાવાદી વલણ પ્રશંસનીય છે. હું મારા દેશના અન્ય દર્દીઓને પણ ચોક્કસપણે શ્રી કૃષ્ણ હોસ્પિટલ આવવાની ભલામણ કરીશ.”
