ઉમરેઠ: બાળ વિવાહ હવે ભારતમાં ગેરકાયદે છે. તેમ છતાં અનેક વિસ્તારો એવા છે જ્યાં બાળ વિવાહના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આણંદ જિલ્લાને બાળ વિવાહના દૂષણમાંથી મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે ઉમરેઠ નગરપાલિકાના મીટિંગ હોલ ખાતે એક દિવસીય મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. “૧૦૦ દિવસ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન” અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ૧૮ વર્ષથી નીચેની વયની યુવતી અને ૨૧ વર્ષથી નીચેની વયના યુવકના લગ્ન કરાવવા એ ગંભીર ફોજદારી ગુનો છે.
માત્ર માતા-પિતા જ નહીં, તમામ સહભાગીઓ સામે થશે કાર્યવાહી
જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એમ.પી.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જો બાળ લગ્ન થતા જણાશે તો માત્ર માતા-પિતા જ નહીં, પરંતુ લગ્ન કરાવનાર ગોર મહારાજ, મંડપ ડેકોરેટર્સ, ડી.જે. સંચાલકો અને રસોઈયાઓ સામે પણ ફોજદારી ગુનો નોંધવામાં આવશે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ, આ કાયદાનો ભંગ કરનારને ૨ વર્ષની સખત સજા અને ૧ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. ખાસ કરીને આગામી અખાત્રીજ અને સમૂહ લગ્નોના આયોજન વખતે આયોજકોએ દરેક વર-કન્યાના જન્મના દાખલાની ચકાસણી કરવી અનિવાર્ય છે.
સરકારી સહાય: પાલક માતા-પિતા યોજના
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકરે જણાવ્યું કે સરકાર બાળકોના શિક્ષણ અને વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે ‘પાલક માતા-પિતા યોજના’ વિશે માહિતી આપતા કહ્યું કે, અનાથ બાળકોને ૧૮ વર્ષની ઉંમર સુધી માસિક રૂ. ૩,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. જો અનાથ દીકરી ૧૮ વર્ષ પૂર્ણ કર્યા બાદ (અને યુવક ૨૧ વર્ષનો હોય) લગ્ન કરે, તો તેને સરકાર તરફથી રૂ. ૨,૦૦,૦૦૦ (બે લાખ) ની માતબર આર્થિક સહાય લગ્ન પ્રસંગે આપવામાં આવે છે.
માહિતી આપનારની ઓળખ ગુપ્ત રહેશે
જો કોઈ સ્થળે બાળ લગ્ન થવાના હોય, તો નાગરિકો નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે:
- પોલીસ: 100
- ચાઈલ્ડ હેલ્પલાઈન: 1098
- મહિલા અભયમ: 181
- જિલ્લા બાળ સુરક્ષા એકમ: 02692-250910
તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ફરિયાદ કરનાર કે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ કાર્યશાળામાં ૯૦થી વધુ હિતધારકો, આંગણવાડી કાર્યકરો અને વિવિધ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા.
