નડીઆદ: કુદરતી રીતે અથવા કોઈ અકસ્માતને કારણે પોતાના હાથ કે પગ ગુમાવનાર દિવ્યાંગો માટે આર્થિક નબળી સ્થિતિને કારણે કૃત્રિમ અંગો બેસાડવા એ એક સ્વપ્ન સમાન હોય છે. આવા દિવ્યાંગોના જીવનમાં નવી આશા જગાવવા માટે પ.પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પૂ. પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી નડીઆદના સત્સંગ પાર્ટી પ્લોટ ખાતે બે દિવસીય વિનામૂલ્યે કૃત્રિમ હાથ-પગ બેસાડવાનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
૪૫૦થી વધુ લાભાર્થીઓને નવજીવન
સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા આયોજિત આ ૪૯મા કેમ્પમાં ખેડા જિલ્લા સહિત અમદાવાદ, ગાંધીનગર અને સિદ્ધપુર જેવા વિસ્તારોમાંથી પણ દિવ્યાંગો ઉમટી પડ્યા છે. ગોકુલધામ નારના સ્વામી હરિકૃષ્ણ સ્વામીએ જણાવ્યું હતું કે, અંદાજે ૪૫૦થી વધુ લાભાર્થીઓએ આ કેમ્પ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા ૩૦૦૦થી વધુ દિવ્યાંગોને સફળતાપૂર્વક કૃત્રિમ અંગો બેસાડી આપવામાં આવ્યા છે.
અમેરિકન ટેકનોલોજીથી સ્થળ પર જ ફિટિંગ
આ કેમ્પની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આવનાર દિવ્યાંગોને લાંબી રાહ જોવી પડતી નથી. અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્થળ પર જ અંગોનું માપ લેવામાં આવે છે અને ગણતરીના કલાકોમાં જ કૃત્રિમ હાથ કે પગ તૈયાર કરીને ફિટ કરી દેવામાં આવે છે. કેમ્પમાં એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જે લોકો વ્હીલચેર કે કાખઘોડીના સહારે આવ્યા હતા, તેઓ કૃત્રિમ પગ ફીટ થયા બાદ કોઈ પણ સહારા વગર ચાલતા થયા હતા. જ્યારે હાથ ગુમાવનાર દિવ્યાંગો કૃત્રિમ હાથથી લખતા થયા ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું.
સરકારી યોજનાઓ અને સેવાકીય સુવિધાઓ
આ કેમ્પમાં ભારત સરકારના એલિમ્કો (ALIMCO) અને એસ.આર. ટ્રસ્ટ રતલામનો પણ ટેકનિકલ સહયોગ પ્રાપ્ત થયો છે. ઉપરાંત જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ભરીને તેમને લાભ અપાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. કેમ્પમાં આવનાર તમામ દર્દીઓ માટે વિનામૂલ્યે ભોજન અને ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કેમ્પમાં એલિમ્કોના નિષ્ણાત તબીબો, નર્સિંગ સ્ટાફ અને ગોકુલધામ નારના સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. આ માનવતાવાદી કાર્યક્રમ રવિવારે સાંજે ૫ વાગ્યા સુધી ચાલુ રહેશે.
