વડોદરાના ચાર દરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કારતક સુદ અગિયારસ (દેવઉઠી અગિયારસ)ના દિવસે પરંપરા મુજબ ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મો વરઘોડો નીકળ્યો હતો.
રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના:
રાજવી પરિવારના રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ દ્વારા શાસ્ત્રોક્ત રીતે પૂજા અર્ચના કરાયા બાદ ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્યા કરવા નીકળ્યા હતા અને ભક્તોને દર્શન આપી આશીર્વાદ વરસાવ્યા હતા. સમગ્ર માહોલ ભગવાનના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.
વરઘોડાનું ભવ્ય આયોજન:
માંડવી ખાતે આવેલ વિઠ્ઠલનાથજી મંદિરેથી નીકળેલા આ વરઘોડામાં શરણાઈ, ઢોલ, બેન્ડવાજા, અને ભજનમંડળીઓ જોડાયા હતા. ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરવા માટે શહેરના માર્ગો પર ઠેર ઠેર ભક્તોની મોટી સંખ્યા જોવા મળી હતી. રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ આ ધાર્મિક શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.
યાત્રા માર્ગ અને સમાપન:
ચાર દરવાજા સ્થિત વિઠ્ઠલ મંદિરેથી પ્રસ્થાન થયેલ વરઘોડો શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને મધ્યાહને શહેરના કીર્તિમંદિર સ્થિત આવેલ ગહેનાબાઈ મહાદેવ ખાતે પહોંચ્યો હતો. અહીં પૂજન અર્ચના સાથે આરતી કરવામાં આવી હતી અને પ્રભુને ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઢળતી સંધ્યાએ ગહેનાબાઈ મહાદેવથી વરઘોડો પુનઃ નિજમંદિરે પરત ફરશે.
શુભ કાર્યોનો પ્રારંભ:
વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી, હરિઓમ વ્યાસના જણાવ્યા મુજબ, દેવઉઠી અગિયારસથી ચાતુર્માસની પુર્ણાહુતી થતા જ શુભ કાર્યોની શરૂઆત થાય છે. મુખ્યત્વે લગ્નના મુહૂર્તો પણ આજથી નીકળતા હોવાથી લોકો ફરીથી ધાર્મિક અને માંગલિક કાર્યો કરવા માટે સજ્જ થઇ જશે. આ વરઘોડો માત્ર એક ધાર્મિક પરંપરા નહીં પણ વડોદરાના સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.
