તિરુવનંતપુરમ: કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં એક અત્યંત આશ્ચર્યજનક અને દુર્લભ ઘટના સામે આવી છે. તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં, મનપા સચિવે ભાજપની જ શહેર જિલ્લા સમિતિને ₹19.7 લાખનો મસમોટો દંડ ફટકાર્યો છે. આ દંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાત દરમિયાન શહેરના જાહેર માર્ગો અને ફૂટપાથ પર મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ફ્લેક્સ બોર્ડ, ઝંડા અને બેનરો લગાવવા બદલ કરવામાં આવ્યો છે.
બે કલાકનું અલ્ટીમેટમ અને પોલીસ ફરિયાદ
મળતી માહિતી મુજબ, શહેરમાં વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતાઓના ફોટા ધરાવતા અસંખ્ય બેનરો રોડ ડિવાઇડર અને ફૂટપાથ પર લગાવાયા હતા, જેનાથી રાહદારીઓને ભારે હાલાકી પડી રહી હતી. વ્યાપક ફરિયાદો ઉઠતા કોર્પોરેશને ગુરુવારે ભાજપના જિલ્લા પ્રમુખને બે કલાકની અંદર આ બોર્ડ દૂર કરવા નિર્દેશ આપ્યો હતો. જોકે, પક્ષ દ્વારા પૂરતી કાર્યવાહી ન કરાતા કોર્પોરેશન સચિવે આકરું વલણ અપનાવ્યું હતું. મનપાએ આ મામલે થમ્પાનૂર અને મ્યુઝિયમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે, જેમાં કેન્ટોનમેન્ટ પોલીસે FIR દાખલ કરી છે.
હાઈકોર્ટની લાલ આંખ
આ સમગ્ર વિવાદ વચ્ચે કેરળ હાઈકોર્ટે પણ આકરી નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે શુક્રવારે અવલોકન કર્યું હતું કે અદાલતના સ્પષ્ટ આદેશો છતાં જાહેર સ્થળોએ અનધિકૃત બોર્ડ લગાવવાની સંસ્કૃતિ આઘાતજનક છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, “માત્ર શબ્દો પૂરતા નથી, પાલન જમીન પર દેખાવું જોઈએ.” હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશનના વકીલે ખાતરી આપી હતી કે અનધિકૃત સ્થાપનો માટે જવાબદાર પક્ષકારો સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
વહીવટી તટસ્થતાની ચર્ચા
રાજકીય વર્તુળોમાં આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે, કારણ કે જે પક્ષની સત્તા મનપામાં છે તે જ પક્ષને આટલો મોટો દંડ ભરવો પડ્યો છે. એરપોર્ટથી પુથારીકંડમ સુધીના માર્ગ પર લગાવેલા તમામ ગેરકાયદે હોર્ડિંગ્સનું વિગતવાર મૂલ્યાંકન કર્યા બાદ આ દંડની રકમ નક્કી કરવામાં આવી છે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે જ્યારે ન્યાયતંત્ર સક્રિય હોય ત્યારે વહીવટી તંત્ર કોઈપણ રાજકીય દબાણ વગર કામ કરવા મજબૂર બને છે.
