આણંદ: ચરોતરની ધરતી પર ફરી એકવાર ભક્તિ અને દેશભક્તિનો માહોલ જામ્યો છે. બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જન્મજયંતી તથા ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ઉપક્રમે આણંદના અક્ષર ફાર્મ ખાતે “મેરા ભારત મહાન” પ્રોજેક્શન શોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે આયોજિત આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.
૧૦૦ ફૂટના સ્ક્રીન પર ‘વિકસિત ભારત’ની ઝલક
“ચાલો બનીએ આદર્શ” ની થીમ પર આધારિત આ શો ૧૦૦ ફૂટ લંબાઈ અને ૨૦ ફૂટ ઊંચાઈના વિશાળ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો છે. બી.એ.પી.એસ. આણંદના કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ દ્વારા તૈયાર કરાયેલ આ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વિકસિત ભારત’ની સંકલ્પનાને ઓડિયો-વિડિયોના માધ્યમથી જીવંત કરવામાં આવી છે. શોમાં પાણી-વીજળીની બચત, સ્વચ્છતા અને માનવીય મૂલ્યો જેવા મહત્વના વિષયો પર હૃદયસ્પર્શી રજૂઆત કરવામાં આવી છે.
મેથ્સ-સાયન્સ ફેર અને પ્રેમવતીનો લ્હાવો
માત્ર પ્રોજેક્શન શો જ નહીં, પરંતુ સમગ્ર અક્ષર ફાર્મ પરિસરને જ્ઞાન અને વિજ્ઞાનના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે ખાસ મેથ્સ ફેર અને સાયન્સ ફેરનું આયોજન કરાયું છે, જે શિક્ષણપ્રદ છે. આ ઉપરાંત, મુલાકાતીઓ માટે ‘પ્રેમવતી’ ફૂડ કોર્ટમાં શુદ્ધ અને સાત્વિક અવનવી વાનગીઓનો રસાસ્વાદ માણવાની તક પણ છે.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂજ્ય ભગવદચરણ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશ પટેલ, રાજ્યમંત્રી કલ્પેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ (બાપજી), પૂર્વ સાંસદ દીપક સાથી તેમજ ભાજપના સંગઠન મંત્રીઓ અને યુવા મોરચાના પ્રમુખો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાતનો સમય અને આમંત્રણ
આ પ્રોજેક્શન શો તા. ૨૪, ૨૫ અને ૨૬ જાન્યુઆરી એમ ત્રણ દિવસ સુધી દરરોજ સાંજે ૫ થી ૬ વાગ્યા દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. પૂજ્ય સ્વામીઓએ ખાસ કરીને આણંદ અને આસપાસના વિસ્તારની શાળા-કોલેજના વિદ્યાર્થીઓને અને વાલીઓને આ જ્ઞાનસભર પ્રદર્શનનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.
