વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના હૃદય સમાન સયાજીબાગ (કમાટીબાગ) ના બોન્સાઈ ગાર્ડન ખાતે આજે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મેયર પિન્કીબેન સોનીના હસ્તે ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ મેયરએ ઉપસ્થિત નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, વડોદરા સહિત સમગ્ર દેશ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અને વર્ષ 2047 સુધીમાં ભારત વિશ્વના વિકસિત દેશોની પ્રથમ હરોળમાં હશે.
નેતાઓની ગેરહાજરી: લોકશાહીના પર્વમાં નિરુત્સાહ?
એક તરફ જ્યારે આખું શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના શાસક અને વિપક્ષના નેતાઓની ગંભીરતા સામે સવાલો ઉઠ્યા છે. પાલિકાના આ વર્તમાન બોર્ડનું આ છેલ્લું ધ્વજવંદન હોવા છતાં, કુલ 76 કોર્પોરેટરોમાંથી માત્ર 34 જ હાજર રહ્યા હતા. એટલે કે 50% થી વધુ જનપ્રતિનિધિઓ રાષ્ટ્રીય પર્વમાં ગેરહાજર રહ્યા હતા.
કોંગ્રેસ અને શાસક પક્ષના નેતાઓ પણ ન દેખાયા
વિપક્ષ કોંગ્રેસની વાત કરીએ તો, તેમના 7 કોર્પોરેટરોમાંથી માત્ર એકમાત્ર વરિષ્ઠ કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) હાજર રહ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ પણ આ મહત્વના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હોવાની ગંભીર નોંધ લેવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વ પ્રત્યેની આ પ્રકારની બેદરકારી વહીવટી અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.
મેયરનો બચાવ અને શિખામણ
કોર્પોરેટરોની ગેરહાજરી અંગે જ્યારે મેયર પિન્કીબેન સોનીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બચાવ કરતા કહ્યું કે, કદાચ વ્યક્તિગત કારણો કે અન્ય કાર્યક્રમોને લીધે તેઓ ન આવી શક્યા હોય. જોકે, તેમણે ટકોર કરતા એમ પણ ઉમેર્યું હતું કે, “ચૂંટાયેલા પ્રતિનિધિઓની નૈતિક જવાબદારી છે કે આવા રાષ્ટ્રીય મહત્વના કાર્યક્રમોમાં અચૂક હાજરી આપવી જોઈએ.”
આમ, વડોદરામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે તો થઈ, પરંતુ જનપ્રતિનિધિઓની પાંખી હાજરીએ ‘ગંભીરતા’ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.
