આણંદ: આણંદ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે બુધવારે એક મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં આણંદ જિલ્લા ભાજપ પ્રભારી અને રાજ્યકક્ષાના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને આણંદના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) [VB-G RAM G]’ અધિનિયમ ૨૦૨૫ વિશે જનતાને માહિતગાર કરવાનો હતો.
મનરેગાનું સ્થાન લેશે VB-G RAM G
પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ ૨૦૦૫ માં શરૂ થયેલી મનરેગા યોજનાના સ્થાને હવે આ નવો અધિનિયમ અમલમાં આવશે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ ગ્રામીણ ગરીબીમાં આવેલો ધરખમ ઘટાડો છે. વર્ષ ૨૦૧૧-૧૨ માં ગ્રામીણ ગરીબી ૨૫.૭ ટકા હતી, જે ૨૦૨૩-૨૪ માં ઘટીને માત્ર ૪.૮૬ ટકા રહી છે. બદલાયેલી જરૂરિયાતો મુજબ યોજનાનું પુનઃસંયોજન કરીને તેને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
યોજનાની મુખ્ય વિશેષતાઓ અને શ્રમિકોને ફાયદા
શ્રમિકોના હિતમાં આ નવી યોજનામાં અનેક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે:
કામની ગેરંટી: અગાઉ મળતા ૧૦૦ દિવસના કામના બદલે હવે ૧૨૫ દિવસના કામની ગેરંટી આપવામાં આવશે.
રાજ્યનો ફાળો: રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના ૬૦ દિવસ ફાળવી શકશે, જેથી શ્રમિકોને કુલ ૧૮૫ દિવસની રોજગારી મળી શકશે.
બજેટમાં વધારો: કેન્દ્ર સરકારનો ફાળો વધારીને ૯૫ હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. જેમાં ૬૦ ટકા ફંડ કેન્દ્ર અને ૪૦ ટકા રાજ્ય સરકાર ભોગવશે.
વેતન ચૂકવણી: વેતનની ચૂકવણી હવે ૧૫ દિવસના બદલે દર અઠવાડિયે એટલે કે સાપ્તાહિક ધોરણે કરવામાં આવશે.
પંચાયતોને સ્વાયત્તતા અને મહિલા સશક્તિકરણ
આ યોજના હેઠળ ઓછામાં ઓછા ૫૦ ટકા કામો સીધા ગ્રામસભા અને ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે. મુખ્યત્વે જળ સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજીવિકા અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો પર ધ્યાન અપાશે. મહિલાઓ માટે સ્કીલ સેન્ટર અને હાટ બજાર જેવી સુવિધાઓ ગ્રામ્ય સ્તરે ઊભી કરાશે. વધુમાં, ખેતીના કામોને અસર ન થાય તે માટે વાવણી અને લણણીના સમયે ૬૦ દિવસ કામ રોકવાની જોગવાઈ પણ રખાઈ છે.
ટેકનોલોજી દ્વારા પારદર્શિતા
ભ્રષ્ટાચાર રોકવા માટે આ યોજનામાં હાઈ-ટેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જીપીએસ, રિયલ ટાઈમ ડેટા અપલોડિંગ, મોબાઈલ મોનિટરિંગ અને બાયોમેટ્રિક હાજરી દ્વારા દરેક કામ પર દેખરેખ રાખવામાં આવશે. આ યોજના મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સંકલ્પને સાકાર કરશે તેવો વિશ્વાસ મહાનુભાવોએ વ્યક્ત કર્યો હતો.
